Modi government passed the bill: વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવતુ રહ્યું અને સરકારે આ બિલ પાસ કરી દીધા- વાંચો વિગતે
Modi government passed the bill: કેન્દ્ર સરકારની નવી સ્ટ્રેટેજીઃ વિપક્ષ ચર્ચા કરે કે ન કરે બિલ તો પસાર થશે જ
નવી દિલ્હી, 03 ઓગષ્ટ: Modi government passed the bill: વિપક્ષ પેગાસસ મુદ્દે હંગામો મચાવી રહ્યુ છે અને બંનેમાંથી એકપણ ગૃહને ચાલવા દેતું નથી ત્યારે કેન્દ્ર સરકારે નવી વ્યૂહરચના અપનાવી છે. તેણે વિપક્ષ ચર્ચા ન કરે તો પણ મહત્ત્વના બિલ તેની બહુમતીના જોરે પાસ કરવા માંડયા છે.
વિપક્ષ સંયુક્ત રીતે પેગાસસ મુદ્દે સંસદને ચાલવા દઈ રહ્યું નથી અને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં જોઈએ તેવી કાર્યવાહી જ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નવ દિવસમાં લોકસભા ફક્ત 12 ટકા જ રચનાત્મક રહી છે અને છ કલાક અને 35 મિનિટ જ ચાલી શકી છે. બીજી બાજુ રાજ્યસભાની વાત કરીએ તો તેમા ૨૦મી જુલાઈના રોજ કોવિડ-19 પર છ કલાકથી વધારે ચર્ચા થઈ હતી. રાજ્યસભાના બાકીના દિવસ વિપક્ષના શોરબકોરના લીધે બગડયા હતા. રાજ્યસભા ફક્ત 23 ટકા જ પ્રોડક્ટિવ રહી છે અને તેમા શોરબકોર વચ્ચે ત્રણ બિલ ચર્ચા વગર પસાર થઈ ગયા છે.
લોકસભામાં વિપક્ષની નારાબાજી વચ્ચે મંગળવારે સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલું એક મહત્ત્વનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જે પસાર થઈ ગયું હતું. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે સુરક્ષાના દ્રષ્ટિએ આ બિલને અત્યંત મહત્ત્વનું ગણાવ્યું હતું. જ્યારે વિપક્ષ તરફથી આ બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષા આ બિલને ખાનગીકરણની દિશા તરફ દોરી જતું બિલ ગણાવ્યું હતું.
આરએસપીના લોકસભા સાંસદ એનકે રામચંદ્રને જણાવ્યું હતું કે ભારત સરકાર શસ્ત્રોના ઉત્પાદનની ફેક્ટરીનું ખાનગીકરણ કરવા ઇચ્છે છે. તેથી આ બિલ લાવવામાં આવી રહ્યું છે. તેમણે આ બિલનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે આ બિલનો હેતુ કર્મચારીઓ દ્વારા પાડવામાં આવતી હડતાળને રોકવાનો છે.
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પણ સંસદમાં આ બિલનો વિરોધ કર્યો હતો. ચૌધરીએ જણાવ્યું હતું કે ગૃહ ઓર્ડરમાં નથી ત્યારે આ બિલ કેવી રીતે લાવી શકાય. આ પ્રકારના સમયમાં આવા મહત્ત્વના બિલને પસાર કરવું ન જોઈએ. તેમણે જણાવ્યું હતું કે અમે બિલ પર ચર્ચા ઇચ્છીએ છીએ, પરંતુ તેનો પ્રારંભ પેગાસસથી શરૃ થવો જોઈએ.
વિપક્ષના વાંધા સામે સરકારે આ બિલનો બચાવ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ બિલ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને લાવવામાં આવ્યું છે. શસ્ત્રો હોય કે અન્ય કોઈપણ પ્રકારની સંરક્ષણ સામગ્રી હોય તેના પુરવઠામાં જરા પણ અવરોધ ન આવવો જોઈએ. તેને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે.
કર્મચારીઓ સાથે સંલગ્ન સવાલો અંગે સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે જ્યાં સુધી ઓર્ડિનાન્સ ફેક્ટરીના કર્મચારીઓની વાત છે ત્યાં સુધી અમારી બધા યુનિયનો સાથે વાતચીત થઈ ચૂકી છે. આ વાતચીત ઘણા સારા વાતાવરણમાં થઈ છે. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે બિલને સંસદમાં રજૂ કરતા જણાવ્યું હતું કે આ બિલ એવો કોઈ નિયમ નથી કે કોઈપણ કર્મચારી કે અધિકારીના હિતો પ્રભાવિત થાય. વિપક્ષે આ બિલ સામે જે પણ વાંધો ઉઠાવ્યો છે તેનો કોઈ આધાર નથી. આ બિલના લીધે કોઈપણ પ્રકારના મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી.
લોકસભામાં ધ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ફૂડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ બિલ 2021, ધ ફેક્ટરિંગ રેગ્યુલેશન (અમેન્ડમેન્ટ) બિલ 2021 , ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (અમેન્ડમેન્ટ) બિલ 2021, ધ એપ્રોપ્રિયેશન (નંબર-3) 2021, ધ એપ્રોપ્રિયેશન (નંબર-4) 2021, ધ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અમેન્ડમેન્ટ) બિલ 2021, ધ ઇનસ્ન્ડ વેસલ્સ બિલ 2021, વિપક્ષના શોરબકોર વચ્ચે ચર્ચા વગર જ પસાર કરી દેવાયા હતા. સરકારે તેની બહુમતીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો.
આ રીતે રાજ્યસભામાં ફેક્ટરિંગ (અમેન્ડમેન્ટ) રેગ્યુલેશન બિલ 2020, મરીન એઇડ્સ ટુ નેવિગેશન બિલ 2021, જુવેનાઇલ જસ્ટિસ (અમેન્ડમેન્ટ) બિલ 2021 પસાર કરવામાં આવ્યા હતા. સરકારે ચોમાસુ સત્ર દરમિયાન 30 બિલોને પસાર કરવાની યોજના બનાવી છે. તેમા 30માંથી 17 બિલ નવા હશે. જ્યારે 13 બિલ સંશોધન માટે લાવવામાં આવશે.