Counseling: તરૂણ છાત્રોના મનમાંથી કોરોનાનો ભય દૂર કરવા ચલાવાઇ રહેલા ૧૩ કાઉન્સેલિંગ સેન્ટર્સ
Counseling: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો સ્તુત્ય પ્રયાસ-ખાનગી શાળા સંચાલકોનો સરાહનીય અભિગમ
અહેવાલ: સોનલ ઉમરાણીયા, રાજકોટ
રાજકોટ,૨૩ એપ્રિલ: Counseling: કોરોનાની પરિસ્થિતિ સંબંધે મુંઝારો અનુભવતા અને કોઇને પોતાની મનોસ્થિતિ વિષે વાત ન કરી શકતા તરૂણ છાત્રોની મદદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મનોવિજ્ઞાન ભવન આવ્યું છે, અને તેમને જરૂરી કાઉન્સેલિંગ પૂરૂં પાડી તેમનો કોરોના લક્ષી ડર ઘણે અંશે હળવો કરવામાં સફળ રહયું છે.
આ અંગે વાત કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડો. ધારા દોશીએ કહયું હતું કે, તરૂણાવસ્થામાંથી પસાર થતા બાળકો કોરોનાની સ્થિતિમાં ઘણા મુંઝાઇ ગયેલા જોવા મળે છે. અભ્યાસ છોડી દેવો, ડ્રોપ લઇ લેવો, હતાશાનો ભોગ બનવું, કાલ્પનિક ભયથી પીડાવું વગેરે લક્ષણો તેમનામાં વધુ પડતા પ્રમાણમાં જોવા મળે છે. આ બાબતે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસીએશનના પ્રમુખશ્રી ડી.વી.મહેતા, તથા અન્ય શાળા સંચાલકો પરિમલ ભાઈ પરડવા, પુષ્કરભાઈ રાવલ અને ભરતભાઇ ગાજીપરાએ તેમના હસ્તકની કુલ ૧૩ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે કાઉન્સેલિંગ(Counseling) સેન્ટર સ્થાપવાની પહેલ કરી, અને શરૂઆત થઇ- ધો-૧૦, ૧૧ અને ૧૨ના છાત્રો માટે ‘‘ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટર્સ’’ની…. આ પ્રોજેકટ મારફતે તરૂણ વિદ્યાર્થીઓના અભ્યાસ તથા અન્ય પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન આપી તેમની નિરાશા દૂર કરવા અંગેના પ્રયાસો કરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા શહેરની જે ૧૩ ખાનગી શાળાઓમાં ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટર ચલાવવામાં આવે છે, તે સ્કૂલોમાં ભૂષણ સ્કૂલ, શુભમ સ્કૂલ, પંચશીલ સ્કુલ, તપોવન સ્કૂલ, ભરાડ સ્કૂલ, શક્તિ સ્કૂલ, ન્યુ એરા સ્કૂલ, પુરુષાર્થ સ્કુલ, ક્રિસ્ટલ સ્કૂલ, શ્રી ઉદગમ સ્કૂલ, સર્વોદય સ્કૂલ, જીનીયસ સ્કુલ અને નવયુગ સ્કૂલનો સમાવેશ થાય છે. આ કાઉન્સેલિંગ(Counseling) સેન્ટર્સને વાલીઓ તથા વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહકાર મળી રહયો છે.