અમદાવાદના “વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’ પર તૈનાત જાંબાઝ રેસ્ક્યુઅર્સ
વન્યજીવ સપ્તાહ -૨૦૨૦
સૌરભે ૧૫૦ ફૂટ ઉંચાઈ પર બાળ વાનરને રેસ્ક્યુ કર્યું, રાકેશે ઘાયલ પાયથન સાપને બચાવ્યો
વાલ્ડ લાઇફ હેલ્પલાઇન ૭૬૦૦૦૦૯૮૪૫/૪૬ સવારે ૮:૦૦ થી રાત્રિ ૧૨:૦૦ કલાક સુધી કાર્યરત
અહેવાલ: ઉમંગ બારોટ
અમદાવાદ, ૦૭ ઓક્ટોબર: ૧૫૦ ફુટ નીચે ફાયર બ્રિગેડની ગાડી અને સેફ્ટી નેટ પાથરતા જવાનોનો કોલાહલ હતો. ઉપર સૌરભે બાંધેલા સેફ્ટી બેલ્ટને પકડી વનરક્ષકો પાણીની ટાંકી પર શાંતિથી ઉભા હતા. તો ટાંકીની પાળી ઉપર ૨૨ વર્ષનો જુવાન નાનકડા વાનર સામે હાથ લંબાવી રહ્યો હતો…બાળ વાનર અને સૌરભ બંન્નેના મનમાં કદાચ એક જ પ્રશ્ન હતો “આનો ભરોસો કરવો કે નહી?’ પણ ડર હારી ગયો, સંવેદના જીતી ગઇ. ફસાયેલા બાળ વાનર બચાવી લેવાયા. અમદાવાદના “વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર’ પર તૈનાત જાંબાઝ રેસ્ક્યુઅર્સની સિધ્ધિમાં વધું એક છોગુ ઉમેરાયું.
વ્યક્તિ વ્યક્તિને નથી સમજી શકતો એવા આરોપોના માહોલ વચ્ચે અમદાવાદના આ યુવાનો
વન્યજીવોને સમજી રહ્યા છે. તેમની સાથે સંવેદના, પ્રેમ અને મિત્રતાના સંબંધ કેળવી રહ્યા છે. ગુજરાત જંગલો અને વન્યજીવોનો સમૃદ્ધ વારસો ધરાવે છે. રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા
રાજ્યની વનસંપદા અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન માટે બહુવિધ કાર્યો કરવામાં આવે છે.
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલુ “વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’ (વન્યજીવ સંભાળ કેન્દ્ર)
સ્ટેટ ઓફ ધી આર્ટ(અત્યાધુનિક) બચાવ અને સારવાર સુવિધાઓથી સજ્જ છે. વર્ષ દરમિયાન અહીં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી આવતા રેસ્ક્યુ કોલને આધારે વન્્યજીવોને હાનિમાંથી ઉગારવાનું કામ કરવામાં આવે છે. વન્યજીવોને આપદામાંથી ઉગાર્યા બાદ તેમની તબીબી સારવાર, પરિક્ષણ અને પુનર્વસન માટે પણ અહીં પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે.
“વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર’માં કુલ ૦૭ રેસ્ક્યુઅર્સ તૈનાત છે. અહીં વાલ્ડલાઇફ હેલ્પલાઇન
૭૬૦૦૦૦૯૮૪૫/૪૬ સવારે ૮:૦૦ થી રાત્રિ ૧૨:૦૦ કલાક સુધી કાર્યરત રહે છે. હેલ્પલાઇન પર રેસ્ક્યુ કોલ મળતાં જ જરૂરી ઇક્વિપમેન્ટ સાથે રેસ્ક્યુઅર નીકળી પડે છે.
“વાઇલ્ડલાઇફ કેર સેન્ટર’માં વન વિભાગની બે રેસ્કયુ વાન સાથે ટ્રાંક્વિલાઇઝર ગન સહિતના
સાધનો ઉપલબ્ધ રહે છે. ઉપરાંત ઓ.પી.ડી. અને ઓપરેશન થિયેટર ઉપલબ્ધ છે જ્યાં વન્યજીવોની તબીબી સારવાર-શસ્ત્રક્રિયા કરી શકાય છે. અહીં સરીસૃપ (રેપ્ટાઈલ), હેવી એનિમલ્સ અને પક્ષીઓની સારવાર શક્ય છે. વન્યજીવોના કેરટેકર તરિકે એક વેટનરી ડૉક્ટર (પશુચિકિત્સક) અને બે સહાયક કાર્યરત રહે છે. વન્યજીવોની સારવાર બાદ તેનેઆવશ્યક દવાઓ ખોરાક પણ અહી નિયમીત આપવામાં આવે છે. વન્યજીવ પુનર્વસન માટે તૈયાર છે કે નહીં? તેની પણ ચકાસણી કરાય છે. આ માટે તેઓના તબીબી પરીક્ષણ અને અન્ય ટેસ્ટ કરવામાં આવે છે. પક્ષી ફરીથી ઊડવા સક્ષમ છે કે નહીં તે માટે બંધ ડોમમાં તેની ટેસ્ટ ફ્લાઇટ કરાવાય છે. પક્ષી જો ત્રાસી ફ્લાઇટ (ઉડાન) ભરે તો તેને વધુ સારવાર માટે રાખવામાં આવે છે.
લોકડાઉન દરમિયાન રામોલ ખાતે પાણીની ટાંકી પર ત્રણ બાળ વાનરો ફસાયા હતા. હેલ્પ
લાઈન નંબર પર રેસ્ક્યૂ કોલ આવતા સૌરભ તેની ટીમ સાથે નીકળી પડ્યો. ફાયર બ્રિગેડની મદદથી વાનરને રેસ્ક્યુ કરાયા. ૧૫૦ ફુટની ઉંચાઇ પર થયેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ જાંબાઝ રેસ્ક્યુઅર્સને ખુબ અભિનંદન મળેલા.
રેસ્ક્યુના આવા જ એક કિસ્સામાં રાકેશ ભરવાડે લોકોની વાહવાહી મેળવી હતી. લોકડાઉન
દરમિયાન જ સાણંદમાં ખેડુતના ધ્યાને એક ઘાયલ પાયથન સાપ આવ્યો. વનવિભાગને જાણ થતા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતેથી રેસ્ક્યુ ટીમ દોડી ગઇ હતી. આંખ અને મોઢાના ભાગે ઇજા પામેલા અને વિફરેલા સાપને રાકેશે સમયસર રેસ્ક્યુ કર્યો હતો. હાલ પાયથન સારવારને અંતે ફરીથી તેના નિવસનતંત્રમાં પાછો ફરવા તૈયાર છે. સાણંદ વિરમગામ વિસ્તારમાં પાયથન સાપ જોવા મળે છે.
“વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર’ના અધિકારી શ્રી અંકિત ગઢવીના કહ્યા મુજબ, લોકડાઉન દરમિયાન
૮૦૦ વન્યપ્રાણી-પક્ષી રેસ્ક્યુ કરાયા છે. જેમાં વાંદરા, નીલગાય, જંગલી બિલાડી, કાળીયાર, શાહુડી, આંધળી ચાકડ, અજગર, સાપ, કોબ્રા, ધામણ, સુરજ કાચબા, મોર, સમડી, ઘુવડ અને ચમાચિડીયા મુખ્યત્વે છે. આમ લોકડાઉન દરમિયાન માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન કુલ ૩૫ પ્રકારના વન્ય પશુ- પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.“વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર’ દ્વારા આ વર્ષે માર્ચમાં ૧૪૦, એપ્રીલમાં ૩૮, મે માસમાં ૭૦, જુનમાં ૧૪૪, જુલાઇમાં ૧૪૦, ઓગસ્ટમાં ૧૦૦ અને સપ્ટેમ્બરમાં ૧૬૬ વન્યજીવોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
બીટ ગાર્ડ શ્રી સુરેશ ગોલતરના જણાવ્યા મુજબ, મેટિંગ સિઝનમાં વાનરોના રેસ્ક્યુ કોલની સંખ્યા વધતી હોય છે. ઘણીવાર આલ્ફા મેલ વાનરના લોકો સાથેના સંઘર્ષના બનાવ બને છે તો ક્યારેક મંકી બાઇટના બનાવ બને છે. કુતરાના કરડવાથી વાનરના ઘાયલ થવાના કિસ્સા પણ બનતા રહે છે. મોર અને કાળીયાર ઘાયલ થવાના કિસ્સામાં પણ ‘ડોગ-બાઇટ’ ઇજાનું મુખ્ય કારણ છે.
વન વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અભિયાનો કરી લોકોને વનન્્યજીવોનું રક્ષણ કરવા
સમજાવવામાં આવે છે. ઉપરાંત શહેરોમાં અને તાલુકામાં લોકો જાણકારીના અભાવે આરક્ષિત
વન્યજીવોને પાલતુ પ્રાણી-પક્ષી તરીકે ઘરમાં રાખતા હોય છે. આ વન્યજીવોને રેસ્ક્યુ કરવામાં આવે છે. વન્યજીવોનું ટ્રાફિકિંગ (દાણચોરી) અટકાવવા માટે વનવિભાગ દ્વારા રેડ પણ કરવામાં આવે છે. કેન્દ્ર ખાતે રેસ્ક્યુ કરાયેલા વન્યજીવોને સારવાર આપી સ્વસ્થ થતા રાજ્યના અન્ય જંગલ-અભ્યારણ્યમાં છોડવામાં આવે છે.