શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી ધરાવતા મકવાણા દંપતિ કોરોના સામે અજેય
“મારા માતા-પિતાને સિવિલ અને સમરસમાં મળેલી સારવારથી નવજીવન મળ્યું છે”: દેવાંગભાઈ મકવાણા
અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ
રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:શ્વાસની તકલીફ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝની બીમારી ધરાવતા ૫૫ વર્ષીય મધુબેન અને ૬૫ વર્ષીય સિરીજભાઈ મકવાણા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં સઘન તથા સચોટ સારવાર મેળવી, કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે. જેનો શ્રેય આ દંપતીના પુત્ર દેવાંગભાઈ મકવાણા રાજ્ય સરકાર અને ફરજનિષ્ઠ ડોક્ટર સહિતના સેવાકર્મીઓને આપે છે.
મધુબેનને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં તેમના પુત્ર દેવાંગ સાથે તેઓ ખાનગી ડોકટર પાસે નિદાન અર્થે ગયા, ત્યાં ડોક્ટરની સૂચના અનુસાર લોહીનો રિપોર્ટ અને સીટી સ્કેન કરતાં કોરોનાનાં લક્ષણો સામે આવ્યા, આ માટે દેવાંગભાઈ સહપરિવાર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવવા ગયાં જ્યાં તેમના માતા – પિતા બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ વિશે વાત કરતા દેવાંગભાઈ જણાવે છે કે,” મમ્મી ને શ્વાસ અને બ્લડપ્રેશરની તકલીફ છે તથા પપ્પાને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની તકલીફ છે, હવે આમા તેમને કોરોના લાગુ પડતા અમે ચિંતા માં હતા.., શ્વાસની તકલીફના કારણે મમ્મીની તબિયત તો ખુબ જ ક્રિટિકલ હતી એટલે એમને તુરંત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, પપ્પામાં કોરોનાના હળવા લક્ષણો હતા એટલે તેમને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા.
સિવિલમાં બે દિવસની આયોજનબદ્ધ અને સચોટ સારવારથી મમ્મીનું બ્લડપ્રેશર કંટ્રોલમાં આવી ગયું અને શ્વાસની તકલીફ પણ જતી રહી, એટલે તેમને પણ સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. સમરસમાં મારા મમ્મી-પપ્પાને સમયસર અપાતા ગુણવત્તા યુક્ત આહાર, આયુર્વેદિક દવા તથા ઉકાળાને પરિણામે તેઓ સ્વસ્થ થયા છે. ખરેખર ! મારા માતા-પિતાને સિવિલ અને સમરસના સર્વે સ્ટાફે જે માયાળુ સારવાર આપી છે, તેનાથી તેમને નવજીવન મળ્યું છે.”
આમ, સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્ય કર્મીઓની સેવા – સુશ્રુષાને પરિણામે મકવાણા દંપતીની જેમ ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગના દર્દીઓ કોરોના મુક્ત થઇ રહ્યા છે.