સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ, વર્ષનું છેલ્લુ ગ્રહણ ધન રાશિમાં થશે, સાંજે 7 કલાકે પ્રારંભ
અમદાવાદ, 14 ડિસેમ્બરઃ આજના રોજ એટલે કે કારતક વદ અમાસને સોમવારે વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ સર્જાશે. ભારતીય સમય મુજબ આ ગ્રહણ સાંજે 7 વાગ્યે શરૂ થવાનું છે, પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાવાનું ન હોય ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં જેથી શહેરના તમામ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ ખુલ્લા જ રહેશે, કોઈ સુતક લાગશે નહીં. દુનિયાના કેટલાક દેશોમાં આજે સાંજે 7થી રાત્રીના 12.30 કલાક સુધી સૂર્યગ્રહણ દેખાશે.
સૂર્યગ્રહણની સાથે આજે સોમવતી અમાસ પણ છે. સોમવતી અમાસ સાધના, મોક્ષ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજ દિવસે કારતક વદ અમાસને સોમવારે સૂર્યગ્રહણ પણ ધન રાશિમાં થવાનું હોય સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ થઇ રહ્યો છે.
અગાઉ 2017માં સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ સર્જાયો હતો. ત્યારબાદ હવે એટલે કે, 2020ના વર્ષની વિદાય વેળાએ સંયોગ સર્જાયો છે. સોમવતી અમાસના પર્વે સૂર્યગ્રહણ અને પાંચ ગ્રહોની યુતિનો સંયોગ વર્ષો બાદ થનારી ઘટના છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો અને ગ્રહણોની માનવજીવન ઉપર કશી જ અસર થતી નથી. જ્યોતિષો અનુસાર,2020નું આ છેલ્લું સૂર્યગ્રહણ સર્જાશે પરંતુ તે ભારતમાં દેખાશે નહીં એટલે ધાર્મિક રીતે પાળવાનું રહેતું નથી જેથી મંદિરો ખુલ્લા રહેશે અને સુતક પણ નહીં લાગે.