મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયની ગ્રામ પંચાયતોના સરપંચો સાથે કર્યો ઈ-સંવાદ
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૧૮ ડિસેમ્બર: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ દ્વારા આયોજીત ઈ-સંવાદ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી રાજયના આઠ જિલ્લાઓના આઠ ગ્રામપંચાયતોના સરપંચશ્રીઓ સાથે પાણી, આરોગ્ય, આત્મનિર્ભર, પશુપાલન, મહિલા ઉત્કર્ષ યોજના અંગેની કામગીરી, ગામડાઓના વિકાસ સંદર્ભે ઈ-સંવાદ સાધીને આગામી સમયમાં આવનારી વેકસીન આપવા બાબતે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં ગ્રામપંચાયતોએ નાકાબંધી, સેનેટાઈઝ, સોશીયલ ડિસ્ટન્સીંગ જેવા મહત્વપૂર્ણ પગલાઓના કારણે ગ્રામ્યસ્તરે કોરોના સંક્રમણને આગળ વધતો અટકાવી શકયા છીએ. ગ્રામ પંચાયતોએ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન ચલાવીને સમગ્ર દેશને ગુજરાતના ગામડાઓએ દિશા બતાવી છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં કોરોનાની રસી પ્રથમ તબક્કે ડોકટરો, પોલીસ જેવા કોરોના વોરીયર્સોને ત્યારબાદ ૫૦ વર્ષથી મોટી ઉમરના ગંભીર બિમારીઓ વાળા લોકોને આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી ગ્રામ પંચાયતના સરપંચશ્રીમતિ નયનાબેન રાઠોડ સાથે ઈ-સંવાદ કરીને ગામ-તાલુકામાં કોરોનાની પરિસ્થિતિ, ગામ પંચાયતના વિકાસ તથા ખુટતી સુવિધાઓની પુચ્છા કરી અદના માનવી એવા ગરીબ હળપતિઓની તકેદારી લેવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ પ્રિતીબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી દલપતભાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.