કેનેડાના પ્રધાનમંત્રી ખેડૂતોના સમર્થનમાં, સાથે જસ્ટિન ટુડોએ પ્રદર્શનને લઇને ચિંતા દર્શાવી
અમદાવાદ, 01 ડિસેમ્બરઃ ભારતમાં ખેડૂતોના આંદોલનની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થવા લાગી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શનો પર કહ્યું કે, કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારોનું સમર્થન કરે છે.
ગુરૂનાનક જયંતીના અવસર પર કેનેડિયન પ્રધાનમંત્રીએ સીખ કોમ્યુનિટીના લોકોને સંબોધતા જસ્ટિન ટ્રુડો એ કહ્યું કે ભારતથી ખેડૂતોના પ્રદર્શનને લઇ જે સમાચાર આવી રહ્યા છે ચિંતાજનક છે. કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનના હકમાં છે અને ભારતમાં આવા પ્રદર્શનોના હકમાં પોતાની વાત મૂકતું રહેશે.
જસ્ટિન ટ્રુડો એ કહ્યું કે, અમે કેટલીય રીતે ભારતીય પ્રશાસનની સાથે સંપર્કમાં છીએ અને અમારી ચિંતાઓને વ્યકત કરતાં રહ્યા છીએ. આ સમય છે જ્યરે આપણે એકજૂથ રહીએ.
જસ્ટિન ટ્રુડો પહેલાં એવા રાષ્ટ્રાધ્યક્ષ બની ગયા છે જેમણે ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં સીખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. કેનેડિયન સરકારમાં કેટલાંય મહત્વપૂર્ણ પદ સીખોની પાસે છે. એવામાં જો પંજાબમાં કંઇ મોટું થાય છે તો તેની કેનેડામાં પણ અસર પડે તે સ્વાભાવિક છે.
કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો પહેલાં ત્યાંના રક્ષામંત્રી હરજીત સિંહ સજ્જન એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ખેડૂતોના પ્રદર્શન પર પોતાનું મંતવ્ય મૂકયું હતું. તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકો પર જો એકશન લઇ રહ્યા છે તે ખોટા છે. મારા ક્ષેત્રના કેટલાંય ઓળખીતા એ પ્રદર્શનોમાં સામેલ છે, એવામા આ ચિંતાનો વિષય છે. સરકારે કાયદાકીય રીતે મુદ્દાને ઉકેલવો જોઇએ.
નોંધનીય છે કે, માત્ર કેનેડા જ નહીં પરંતુ યુનાઇટેડ કિંગડમમાં પણ પંજાબના મુદ્દા પર ચર્ચાઓ ચાલુ છે. બ્રિટનના કેટલાંય સાંસદોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પંજાબમાં ચાલુ વિરોધ પ્રદર્શનને લઇ ચિંતા વ્યકત કરી છે અને સરકારને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનું કહ્યું છે.