અમદાવાદ અને આણંદ ખાતે સરકારી બેંકો સાથે 90 કરોડની છેતરપિંડી થતાં CBIના દરોડા
અમદાવાદ,12 ડિસેમ્બરઃ અમદાવાદ અને આણંદ સહિત રાજ્યની સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ મૈસૂર સહિતની બેંકો સાથે 90 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ કરવા બદલ સીબીઆઈની ટીમોએ શુક્રવારે આરોપીઓના નિવાસસ્થાન ઓફિસો તેમ જ ફેક્ટરીઓમાં દરોડા કરી વાંધાજનક દસ્તાવેજો કબ્જે કર્યા હતા. સીબીઆઈમાંથી મળતી માહિતી અનુસાર અમદાવાદના યુનિવર્સિટી પ્લાઝામાં ઓફિસ ધરાવતા શાયોના કલર્સ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો દ્વારા સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ મૈસૂરમાંથી કરોડો રૂપિયાની લોન લેવાઈ હતી દરમિયાન તેમણે પોતાની કામગીરી બંધ કરી બેંકને જાણ કર્યા વિના કરોડો રૂપિયાની મશીનરી તેમની સંબંધિત કંપનીઓમાં ટ્રાન્સફર કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ ઉપરાંત અન્ય યુક્તિઓ અજમાવી બેંક ની સાથે રૂ 71.88 કરોડ છેતરપિંડી આચરી હતી.
આ મામલે સીબીઆઈ દ્વારા શાયોના કલર પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પરેશ દયાળજીભાઈ પટેલ, મેસર્સ શમરોક કેમ પ્રા.લિ. તથા બે સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જ્યારે અન્ય એક ફરિયાદમાં બેંક ઓફ ઇન્ડિયા મુંબઈ બ્રાંચમાં કરંટ એકાઉન્ટ ધરાવતા ટેમ્પલ ટ્રી ઇન્વેસ્ટમેન્ટ પ્રા લિ.ના ખાતામાંથી આરટીજીએસ મારફતે ત્રણ ચેક ભરાયા હતા, જેમાં રાજકોટની બેંક ઓફ ઇન્ડિયામાંથી કુલ 16.67 કરોડ ઉપાડી લીધા હતા. આ બાબત મેસર્સ લોમ્પાયાર, ઇન્વર્ટ ટ્રાએંગલ કોટક હિરેન ભરતભાઈ અને બે સરકારી કર્મચારીઓ મળી કુલ પાંચ વ્યક્તિની વિરુદ્ધ સીબીઆઈએ ગુનો દાખલ કર્યો હતો. આ બંને કેસો મામલે સીબીઆઈની ટીમોએ આણંદ, અમદાવાદ, મુંબઈ અને બેંગાલુરુમાં આરોપીઓના નિવાસ, ઓફિસ, ફેક્ટરી પર દરોડા પાડી દસ્તાવેજો કબજે કર્યા હતા.
આ પણ વાંચો…
AMCની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ હવે કોવિડ હોસ્પિટલની સારવારના દરોમાં થશે ઘટાડો