પ્રારંભઃ આજથી રાજ્યમાં ધો- 10 અને 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્ય શરુ, વિદ્યાર્થીઓને આવકારવા જિલ્લા પ્રમાણે મંત્રીઓની ફાળવણી
ગાંધીનગર, 11 જાન્યુઆરીઃ કોરોનાના કહેરની વચ્ચે વર્ષ દરમિયાન બાળકોએ ઓનલાઇન જ સિક્ષણ લીધું છે. હવે આજથી ધો 10 અને 12 તથા કોલેજમાં શિક્ષણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસે ને દિવસે ઘટતી જણાઇ રહી છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે. વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય હવે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ વરસમાં શૈક્ષણિક કાર્ય પ્રથમવાર શરૂ થઈ રહ્યું છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવા ના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું છે કે કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણ કાર્યની સાથે બાળકોના હિત જાળવવાનો સંકલ્પ કરીએ છીએ.
આજથી ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યો નક્કી કરાયેલ વિસ્તારની શાળાઓમાં જે તે શાળાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારી તેમને પ્રોત્સાહિત કરશે.
વિદ્યાર્થીઓને આવકારવા આ મંત્રીઓને જિલ્લા ફાળવાયાઃ
જેમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ રાજકોટ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગાંધીનગર જિલ્લામાં કલોલ ખાતે, મહેસુલ મંત્રી કૌશિક પટેલ અમદાવાદ શહેર ખાતે, ઉર્જા મંત્રી સૌરભ પટેલ ગાંધીનગર ખાતે, આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લામાં, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં ,સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લામાં, પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લામાં ,ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જિલ્લામાં, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં, સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લામાં, સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજયમંત્રી વાસણભાઇ આહીર સાબરકાંઠા જિલ્લામાં, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે, વન આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ,નર્મદા ,શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલ વડોદરા જિલ્લામાં, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરમાં, મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા, પંકજ દેસાઈ નડિયાદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ નવસારી જિલ્લામાં નક્કી કરાયેલ શાળાઓમાં શાળા ખુલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ ને આવકારી પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો…
રિસર્ચઃ હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવા દર્દીઓ 6 મહિના સુધી અનુભવે છે કોરોનાના લક્ષણો