જેતપુર ખાતે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો
રાજકોટ, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજયભરની મહિલાઓની આત્મનિર્ભરતા માટે એક આગવા કદમ સાથે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નો શુભારંભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઇ-લોન્ચિંગ થી કરાવ્યો હતો. જેના અનુસંધાને આજે જેતપુર ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેનું દીપપ્રાગટ્ય નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલિયાએ ઉપસ્થિત સખીમંડળની મહિલાઓ તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો તે પ્રસંગનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સખીમંડળોને રૂપિયા એક લાખની વિના વ્યાજની લોનના મંજૂરી પત્રકો એનાયત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન મહિલાઓને રાજ્ય સરકારની યોજનાઓ થકી મળતા લાભોની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી .
તાલુકા વિકાસ અધિકારીશ્રી એન. ડી કુંગશિયાએ સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી.
કાર્યક્રમ પ્રસંગે જેતપુરના ચીફ ઓફીસરશ્રી નવનીત પટેલ, અગ્રણીશ્રી દિનેશભાઈ ભૂવા, શ્રી મનસુખભાઈ ખાખરીયા, શ્રી રામભાઈ જોગી, શ્રી વેલજીભાઈ સરવૈયા, શ્રી દિનકરભાઇ ગુંદારિયા, શ્રી નીતાબેન ગુંદારિયા, શ્રી રમાબેન મકવાણા, શ્રી ભુપતભાઈ સોલંકી વગેરે ઉપસ્થિતિ રહયા હતા. કાર્યક્રમ દરમિયાન કોરોના સંદર્ભે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું .