Ind vs Aus: બ્રિસ્બેન ટેસ્ટમાંથી બુમરાહ પણ થયો બહાર, મોટાભાગના પ્લેયર થયા ઈજા ગ્રસ્ત
નવી દિલ્હી, 12 જાન્યુઆરીઃ ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસના પ્રારંભ પહેલાથી જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો યથાવત્ છે. મંગળવારે ટીમ ઈન્ડિયાને ચોથી ટેસ્ટ પહેલા વધુ એક ઝાટકો લાગ્યો કારણ કે બુમરાહ પણ ચોથી ટેસ્ટમાંથી બહાર થયો છે. એક અહેવાલ અનુસાર, બુમરાહને પેટના નીચેના હસ્સામાં ખેંચાણ અનુભવાતા ટીમ મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું હતું. આ જ સાથે ટીમ ઈન્ડિયા બુમરાહને ચોથી ટેસ્ટમાં રમાડવાનું જોખમ લઈ શકતી નથી કારણ કે જો બુમરાહને રમાડવામાં આવે તો તેની ઈજા વકરી શકે છે.
બુમરાહ ઉપરાંત બ્રિસ્બેન ખાતે ટીમમાં હનુમા વિહારીના વિકલ્પ તરીકે જેની ચર્ચા હતી તે મયંક અગ્રવાલને પણ નેટ પર પ્રેક્ટિસ કરતા સમયે ઈજા થઈ હતી. તેને હેરલાઈન ફ્રેક્ચર હોઈ શકે છે. સ્થિતિ હવે ત્રીજી ટેસ્ટ કરતા પણ વધુ વણસી શકે છે કારણ કે, સિડની ટેસ્ટના અંતિમ દિવસે 3.30 કલાકની બેટિંગ બાદ અશ્વિનની પીઠમાં સમસ્યા હોવાનું સામે આવ્યું છે. તેનું આગામી ટેસ્ટમાં રમવું શંકાસ્પદ છે અને હવે ભારતીય ટીમ પાસે વધુ વિકલ્પ નથી.
માનવામાં આવી રહ્યું છે કે, 2 ટેસ્ટ મેચ રમનાર મોહમ્મદ સિરાજ ભારતીય બોલિંગ યુનિટને લીડ કરશે અને 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી બ્રિસ્બેન ટેસ્ટમાં નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનનો સાથ આપશે. બુમરાહને પૂર્ણ ફિટનેસ વગર રમાડવાનું જોખમ ના લેવાય તો ચોક્કસ રીતે નટરાજન ટેસ્ટમાં પણ ડેબ્યૂ કરશે.
ભારતીય ટીમની સમસ્યા હવે એ છે કે, ઈજાગ્રસ્ત લોકેશ રાહુલના ગયા બાદ અને હનુમા વિહારીની ગ્રેડ 2 ઈજા બાદ મિડલ ઓર્ડરમાં વધુ વિકલ્પ રહ્યાં નથી. 2 બેટ્સમેન જે હાજર છે તેમાં ખરાબ ફોર્મના સામનો કરી રહેલ પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ છે. હવે જોવાનું એ રહેશે કે ખેલાડીઓની ગેરહાજરી અને લોઅર ઓર્ડરને ધ્યાનમાં રાખી ભારત 4 બોલર સાથે ઉતરવાનો નિર્ણય લે છે કે નહીં. પંત ફિટ થઈ જશે તો તે વિકેટકીપર તરીકે ટીમમાં બની રહેશે અને પૃથ્વીને ત્રીજા ક્રમે અને તે પછી પૂજારા, રહાણે અને અગ્રવાલ ટીમમાં સ્થાન મળી શકે છે. જો ભારત 5 બોલર સાથે ઉતરે તો ઝડપી બોલર યુનિટનો અનુભવ કુલ 4 ટેસ્ટ (સિરાજ-2, સૈની-1, ઠાકુર-1, નટરાજન-0) નો રહેશે.
આ પણ વાંચો….
સારા સમાચારઃ અનુષ્કા શર્માએ આપ્યો દીકરીને જન્મ, વિરાટે ટ્વિટરના માધ્યમે પોતાની ખૂશી વ્યક્ત કરી!