Railway Hospital Sabarmati: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા ડિવિઝનલ રેલવે હોસ્પિટલ સાબરમતીનું નિરીક્ષણ
Railway Hospital Sabarmati: PSA ઓક્સિજનcપ્લાન્ટ અને નવીનીકૃત ફિઝીયોથેરાપી રૂમનું ઉદ્ઘાટન
અમદાવાદ, ૧૭ ઓક્ટોબર: Railway Hospital Sabarmati: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા ડિવિઝનલ રેલવે હોસ્પિટલ સાબરમતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવનિર્મિત PSA (પ્રેશર સ્વિંગ એડ્જોબ્રશન) ઓક્સિજન પ્લાન્ટ અને નવીનીકૃત ફિઝીયોથેરાપી રૂમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જનરલ મેનેજર કંસલે હોસ્પિટલના વોર્ડ, આઈસીયુ અને ઓપરેશન થિયેટરનું ખુબ જ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. જનરલ મેનેજર હોસ્પિટલના વોર્ડમાં જઈને દાખલ થયેલા દર્દીઓને મળ્યા હતાં અને તેમની સાથે વાત કર્યા પછી તેમના સ્વાસ્થ્ય બાબતે પૂછપરછ કરી હતી તથા હોસ્પિટલમાં મળતી સારવાર અને સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. દર્દીઓએ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવતી સેવાઓની પ્રશંસા કરતા જનરલ મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો.
ICU અને ઓપરેશન થિયેટરમાં હાજર સાધનો વિશે જાણકારી મેળવી અને જરૂરી નવા સાધનો ખરીદવા માટે પણ સૂચના આપી હતી. હોસ્પિટલમાં હાલમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિસ્તૃત રીતે નિરિક્ષણ પણ કર્યું હતું.
PSA ઓક્સિજન પ્લાન્ટની ટાંકીની ક્ષમતા 700 લિટરની છે જેનાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સતત ઓક્સિજન પૂરો પાડી શકાશે. આ ઓક્સિજન પ્લાન્ટ કોવિડ ઓક્સિજન કટોકટી દરમિયાન ખૂબ મદદરૂપ થશે. આ PSA ઓક્સિજન પ્લાન્ટ ઇમરજન્સી બ્રેકડાઉન દરમિયાન કોઇપણ દુર્ઘટનાની શક્યતાને રોકવા માટે મદદરૂપ સાબિત થશે.
નવીનીકૃત ફિઝીયોથેરાપી રૂમ જેમાં આધુનિક સાધનો જેમ કે શોર્ટ વેવ, ટેન્સ, લેસર, યુએસટી, સર્વાઇકલ, એમએસટી થેરાપી ઉપરાંત અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે. જેથી ડિવિઝનના કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવારોને લાભ મળશે.
જનરલ મેનેજર કંસલ, ડીઆરએમ તરુણ જૈન અને સીએમએસ આલોક શ્રીવાસ્તવે પણ આ દરમિયાન વૃક્ષારોપણ કર્યું હતું. અને દરેકને વૃક્ષો વાવવા માટે પ્રેરિત કર્યા હતાં.
આ દરમિયાન, જનરલ મેનેજર આલોક કંસલની સાથે, ડીઆરએમ તરુણ જૈન અને અન્ય શાખા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા