Out of bounds: હદ બહાર; છેલ્લો એક આખો મહિનો…નમન મુનશી
Out of bounds: છેલ્લો એક આખો મહિનો ભારતીય મીડિયા એ હદ બહાર રિપોર્ટિંગ કર્યું છે. રોજ જ આખા ભારતમાં અનેક લોગો ડ્રગની હેરાફેરી કરતા પકડાય છે અને તેમની પાસે આર્યન કરતા વધુ જથ્થો પકડાય છે પરંતુ પેપરના પાને કોઈક ખૂણામાં સમાચાર છપાય છે કે ન્યુઝ ચેનલોની સ્ટ્રિપિંગ લાઈનમાં ચાલતું રહે છે. પરંતુ આર્યન ‘શાહરુખ ખાન’ હોવાથી મીડિયા, સોશિઅલ મીડિયા અને રાજકારણીઓએ આખા સમાચારને જે તુલ આપ્યું છે તે આપણા દરેકનું માનસિક સ્તર દર્શાવી જાય છે.
માત્ર આર્યન શાહરુખ ખાનનો પુત્ર હોવાથી તેને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ મુસ્લિમ વિક્ટિમ કાર્ડ ખેલવાનું વાહિયાત કામ નવાબ મલિક જેવા નેતાઓએ કર્યે રાખ્યું છે. આ એક ઘાતક અને બેજવાબદાર વર્તન છે. પહેલી વાત નવાબ મલિકે કે તેમના જેવા નેતાઓ એ સમજવી જરૂરી છે કે આર્યન દુધે ધોયેલો નિર્દોષ અને સ્વચ્છ યુવક હતો તો તેણે આવી પાર્ટીઓમાં ભાગ જ શા માટે લેવો જોઈતો હતો. રોજ જ કેટલાય મુસ્લિમ યુવકો દારૂ-જુગાર-દૃગની હેરાફેરીમાં પકડાય છે ત્યારે તો નવાબ મલિકને મુસ્લિમ વિક્ટિમ કાર્ડ યાદ નથી આવતો ? આર્યન મોટા સુપરસ્ટારનો દીકરો હોવાથી પ્રસિદ્ધિના પાડાનું પૂછડું પકડી રાખ્યું છે.
આટલું જ વાહિયાત કામ સોશિઅલ મીડિયાએ કર્યું છે, માત્ર આયર્ન શાહરુખ ખાન હોવાથી તેનો આટલો ટ્રોલ કરવાની જરૂર નથી જ નથી. યાદ રાખજો આજે શાહરૂખનો દીકરો છે કાલે મારો-તમારો દીકરો પણ આ દુષણનો શિકાર થઇ શકે છે. મારો દીકરો આવા કામમાં પડે જ નહિ તેવો ફાંકો કે વહેમ કોઈએ રાખવાની તસ્દી લેવી નહિ. ન્યુઝ અને પ્રિન્ટ મીડિયાને તો ટીઆરપી અને કોપીની સ્પર્ધામાં રહેવાનું હોવાથી જે આવે તે દર્શાવવું/છાપવું મજબૂરી પણ થઇ શકે છે.
સૌથી વધારે વાહિયાત વાત તો વાનખેડે જેવા ઓફિસરો માટે ધર્મનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તે છે. જો આવી સેલિબ્રિટી, રાજનૈતિક કે પ્રખ્યાત વ્યક્તિની વિરુદ્ધ કોઈ ઓફિસર કાર્યવાહી કરે તો તેને નીચો પાડવા, તેની ફરજનિષ્ઠાને બદનામ કરવાનું ચલણ અને વલણ અખત્યાર કરવાનું શરુ થઇ જશે તો ભવિષ્યમાં કોઈ અમલદાર આવી હિમ્મત નહિ દર્શાવે. નવાબ મલિકે, તેમનું રાજકારણ અને રાજકારણી ઓનું સ્તર કેટલું છે તે જ પ્રકટ કર્યું છે તેમના જેવા નેતાઓ પાસે બીજી અપેક્ષા રાખવી પણ મુર્ખામી ગણાય. સામે પક્ષે સરકારે આવા ઓફિસરો સાથે ઉભા રહેવું જોઈએ જેથી અન્ય ઓફીસરોનું મનોબળ તૂટે નહિ. કાર્યવાહી પછી થયેલા આરોપો પર તરત તપાસ બેસાડવી તે પણ કાયરતા તેમજ સેલિબ્રિટી શરણે, ચરણે ઝુકવાની નિશાની છે.
આર્યનના જમીન પર છૂટી ઘરે જવાની વિધિનું જે રીતે લાઈવ પ્રસારણ કરનાર અને ૨૪x૭ મન્નતની બહાર કેમેરામેન-રિપોર્ટર ઉભા રાખનાર ન્યુઝ ચેનલો નૈતિકતાને મામલે હદ બહાર પતન કરી ગઈ છે. આર્યનના કેસમાં તમામે હદ બહાર પ્રતિક્રિયા, પ્રતિસાદ આપ્યો છે. (આ લેખકનું પોતાના વિચાર છે.)