Anniversary of Lord Swaminarayan: કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ર૪૧ મી જયંતી અને મંદિરના ર૯ મા પાટોત્સવની ઉજવણી
Anniversary of Lord Swaminarayan: સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
અમદાવાદ, 11 એપ્રિલ: Anniversary of Lord Swaminarayan: તા. ૯ થી ૧૧ એપ્રિલ સુધી સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર ગ્રંથની ત્રિદિવસીય પારાયણ કરવામાં આવી હતી. જે કથામૃતનું પાન શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી,શ્રી હરિવલ્લભદાસજી સ્વામી,શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ કરાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્ષોપચારથી પૂજન કરવામાં આવ્યું હતું અને પુષ્પો અને મોતીથી મહાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યા પાસે છપૈયા ખાતે ચૈત્ર સુદ – નોમ સંવત્ ૧૮૩૭ ના રોજ થયું હતું.
વિક્રમ સંવત્ ૧૮૫૮ કારતક સુદ એકાદશીના દિવસે પીપલાણામાં તેમને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ પાડ્યું હતું.ત્યારબાદ તેઓશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે સમગ્ર જગતમાં પ્રસિદ્ધ થયા. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ જનસમાજના ઉત્થાન માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવ્યું અને અનેકને સદાચારીમય જીવન જીવતા કર્યાં છે. તેમણે અસંખ્ય સંતો અને હરિભક્તો બનાવ્યા.શિક્ષાપત્રી અને વચનામૃત આદિ અનેક ગ્રંથોની રચના કરી. સંસ્કારોનું સદાય પોષણ થતું રહે તે માટે અનેક મંદિરો સ્થાપ્યા.
ચૈત્ર સુદ દશમ ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે ર૯ મા પાટોત્સવ પ્રસંગે ષોડ્શોપચારથી પૂજન કરીને,શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજથી ર૯ વર્ષ પૂર્વે એટલે ઈ.સ. ૧૯૯૩ માં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના શુભહસ્તે કુમકુમ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આજે કુમકુમ મંદિરનો પાટોત્સવ દિન હોવાથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રાજોપચારથી શ્રી ઘનશ્યામ મહારાજ ઉપર પંચામૃત,કેસરજળ અને પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો. આ મહોત્સવ પ્રસંગે કુમકુમ મંદિર દ્વારા સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું…પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.
વિમોચન પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે,ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૂત્ર આપ્યું હતું કે, ભગવાન રાખે તેમ,રહેવું દેખાડે જોવું.આ સૂત્ર આપણા સૌના જીવનમાં ચરિતાર્થ થાય તેવા હેતુથી આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અનેક પંક્તિઓ અને પ્રેરણાદાયી દ્રષ્ટાંતો ટાંકવામાં આવ્યા છે.
ઋતુની અંદર શિયાળો પછી ઉનાળો આવે છે. વસંત પછી પાનખર આવે છે, દરિયામાં ભરતી પછી ઓટ આવે છે,સૂર્યનો ઉદય પછી અસ્ત થાય છે, સુદ પછી વદ આવે છે.દિવસ પછી રાત્રી આવે છે, તેમ જીવનમાં પણ સુખ પછી દુઃખ આવે જ છે.
આ ક્રમ છે તે પ્રમાણે જ દુનિયાના દરેક માણસને જીવવું પડે છે. પરંતુ ઘણા માણસો આ ક્રમમાં હારી બેસે છે.ઘણા આ ક્રમ પ્રમાણે જે કાંઈ આવે છે,તેમાં આનંદ માને છે અને સારી રીતે બધા જ દિવસો પસાર કરે છે. આપણે જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે હતાશ થયા વગર તેની સામે લડતા શીખીશું તો જીત મેળવી શકીશું.