Surya pooja: 4 વર્ષ પછી સૂર્ય પૂજાનો આજે વિશેષ યોગ, તે પછી 2024માં આ સ્થિતિ બનશે
Surya pooja: ગ્રંથો પ્રમાણે આ મહિને સૂર્યને પર્જન્ય સ્વરૂપમાં પૂજવા જોઈએ. રવિવારે સાતમ તિથિ હોવાથી ભાનુ સાતમનો યોગ બને છે, પરંતુ શ્રાવણમાં આવો સંયોગ ખૂબ જ ઓછો બને છે
ધર્મ ડેસ્ક, 15 ઓગષ્ટઃ Surya pooja: શ્રાવણ મહિનામાં સૂર્ય પૂજાનું પોતાનું મહત્ત્વ છે. ગ્રંથો પ્રમાણે આ મહિને સૂર્યને પર્જન્ય સ્વરૂપમાં પૂજવા જોઈએ. રવિવારે સાતમ તિથિ હોવાથી ભાનુ સાતમનો યોગ બને છે, પરંતુ શ્રાવણમાં આવો સંયોગ ખૂબ જ ઓછો બને છે.
જ્યોતિષ અનુસાર આ વખતે આ યોગ 15 ઓગસ્ટ, રવિવારે બની રહ્યો છે. આ પહેલાં 30 જુલાઈ 2017ના આવો સંયોગ બન્યો હતો જ્યારે રવિવારે શ્રાવણ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિ હતી. હવે 3 વર્ષ પછી 11 ઓગસ્ટ 2024માં આવી સ્થિતિ બનશે.
પૂજા વિધિઃ સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો. સાથે જ લોટામાં લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા અને ઘઉંના દાણા પણ રાખો. ઓમ ધૃણિ સૂર્યાય નમઃ મંત્ર બોલો અને ઉગતા સૂર્યને આ લોટાનું જળ ચઢાવો. તે પછી ભગવાન ભાસ્કરને નમસ્કાર કરો. ગાયત્રી મંત્રનો જાપ કરો અને બની શકે તો આદિત્ય હ્રદયસ્ત્રોતનો પણ પાઠ કરો. આ સિવાય ભગવાન સૂર્યના 12 નામનો જાપ પણ કરવો જોઈએ.
વ્રત વિધિઃ સૂર્ય સામે બેસીને દિવસભર મીઠા વિનાનું વ્રત કરવાનો સંકલ્પ લો. શક્ય હોય તો આખો દિવસ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવો. આખો દિવસ વ્રત રાખો અને ફળાહારમાં મીઠાનું સેવન કરશો નહીં. એક સમયે ભોજન કરો તો તેમાં પણ મીઠાનો ઉપયોગ ન કરો. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી શ્રદ્ધાપ્રમાણે ભોજન, વસ્ત્ર કે કોઈપણ ઉપયોગી વસ્તુ દાન કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો અને અન્ય પશુ-પક્ષીઓને પણ ભોજનની કોઈ વસ્તુ આપો.
ભાનુ સાતમના દિવસે સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ મળે છે. તે વ્યક્તિ ક્યારેય અંધ, દરિદ્ર કે દુઃખી થતો નથી. સૂર્યની પૂજા કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થાય છે. ભાનુ સાતમના દિવસે દાન કરવાથી પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી પિતા અને પુત્રમાં પ્રેમ જળવાયેલો રહે છે. આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે ગરીબો અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ.