Swamiji ni Vani part-23: દાન વિષે ભગવદ્દ ગીતા કહે છે;

Swamiji ni Vani part-23: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી દાન દાન વિષે ગીતામાં ભગવાન કહે છે:
दातव्यमिति यद्दानं दियतेनुपकारिणे.

Swamiji ni Vani part-23: દાન કરવું જોઈએ અને એવી રીતે કરવું જોઈએ કે જેને દાન કર્યું છે તેની પાસેથી કોઈ વળતા ઉપકારની અપેક્ષા ન હોય. ‘અત્યારે હું દાન કરું છું માટે ભવિષ્યમાં મને કાંઈક પ્રાપ્ત થશે’ એવી વૃત્તિ દાન પાછળ ન હોવી જોઈએ. આપણે કોઈની પાસે ફંડફાળા માટે જઈએ ત્યારે તે ફાળો આપે ખરા પરંતુ ચાર-છ મહિના પછી તે જ ભાઈ અન્ય કોઈ ફંડફાળા માટે આપણી સમક્ષ આવીને ઊભા રહે ! કોઈ ફાળો તો આપે પણ શરત મૂકે, ‘મારા નામની તકતી લગાડો’ અને આપણને પૈસાની જરૂર હોય એટલે આપણે તકતી લગાડીએ પણ ખરા.
આથી ભગવાન આગળ કહે છે :
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुन:|
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ||
એ રાજસ દાન છે જેમાં પ્રત્યુપકારની ભાવના હોય, મને કાંઈ ફળ પ્રાપ્ત થશે એવી અપેક્ષા હોય અથવા કચવાતા મને અપાયું હોય. દાન આપીને આપણે દાન લેનાર ઉપર ઉપકાર કરી રહ્યા છીએ એ ભાવના પણ ન હોવી જોઈએ.
ઊલટું, દાન કરતી વખતે એવી ભાવના રાખવી જોઈએ કે મારા ઉપર ઉપકાર થઈ રહ્યો છે. એવું કોણ છે જગતમાં જે પોતાનો હાથ નીચો કરે અને દાન આપનારને પોતાનાથી ઊંચો બતાવે ? માનવીને આમ કરવું ગમતું નથી. છતાં છેવટે જ્યારે કોઈ દાન લે છે ત્યારે આવી તક આપણને આપી તે આપણા ઉપર ઉપકાર કરી રહ્યો છે એવી ભાવના મનમાં જન્મવી જોઈએ. આવી ભાવનાથી કરેલ દાન શ્રેષ્ઠ દાન છે, જેથી દાન લેનારને એમ લાગે જ નહીં કે કોઈ રીતે તેના ઉપર ઉપકાર થઈ રહ્યો છે.
વળી કેટલાક લોકો દેશ-કાળની કે પાત્ર-અપાત્રની પણ ચિંતા કર્યા વગર અને અનાદરપૂર્વક દાન આપતા હોય છે. ભગવાન કહે છે કે આ પ્રકારનું દાન તામસ દાન છે. પવિત્ર તીર્થભૂમિમાં, સંક્રાંતિ આદિ વિશેષ કાળમાં, આદરપૂર્વક યોગ્ય વ્યક્તિને દાન આપવું જોઈએ. તેને બદલે અપવિત્ર ભૂમિમાં, ચોર, મૂર્ખ, વ્યક્તિ વગેરેને દાન આપવું, માણસનો સત્કાર કર્યા વગર આપવું એ બરોબર નથી. એમ કરવાથી દાન આપનારનું અને દાન લેનારનું બંનેમાંથી કોઈનું કલ્યાણ થતું નથી. બહારથી કદાચ એમ જણાય કે બંનેનો કોઈ ભૌતિક હેતુ સિદ્ધ થાય છે તો પણ સરવાળે તે હિતકર નીવડતું હોતું નથી.
અન્યની સેવા કરવામાં પણ આ જ ભાવના રાખવી જોઈએ. સેવા કરીને કહી બતાવવું ન જોઈએ : ‘જો મેં આટલું કર્યું, આટલું કર્યું.’ સેવા લેનારને આવી સતત યાદ અપાવ્યા કરીએ તે યોગ્ય નથી. સેવા એવી રીતે કરવી જોઈએ કે જેથી સેવા લેનારને એમ લાગે જ નહીં કે એના ઉપર કોઈ ઉપકાર થયો છે. એથી વિપરીત, સેવા કરનારને એમ લાગવું જોઈએ કે ‘મને સેવા કરવાની તક આપીને તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે.’

આ પણ વાંચો:- Swamiji ni Vani part-22: વસુધૈવ કુટુમ્બકમ્‌

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો