Surat Nurse shapath

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના ૧૫૦ વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

Surat Nurse shapath

ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે બે દિવસીય ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ

કોરોના મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે: અમે કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરીએ: ડો.દર્શન ચૂડાસમા

રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત

સુરત:ગુરૂવાર: સુરતમાં રાજય સ્તરીય ઉચ્ચ અધિકારીઓની ટીમના કોરોના દર્દીઓને બહેતર સુવિધા મળી રહે તેવા પ્રયાસોમાં વધુ ૧૫૦ તબીબોની સેવાથી જરૂર બળ મળશે.
કોરોના મહામારીમાં દર્દીઓની સેવામાં સુરત મેડીકલ કોલેજ MBBS પોસ્ટ ગ્રેજ્યુએટ ૧૫૦ તબીબો સજ્જ બન્યા છે. ઈન્ટરશીપ પુર્ણ થયા બાદ કોરોના સંદર્ભે બે દિવસીય સધન તાલીમ બાદ તબીબી વિદ્યાર્થીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રતિજ્ઞાબધ્ધ બન્યા હોવાનું ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ૧૫૦ તબીબો જોડાવાથી આરોગ્યની સારવાર સુવિધામાં વધારો થશે. દિવસરાત દર્દીઓની સેવા કરતાં ડોક્ટરોને સહાયરૂપ થવાં અને વધતાં કેસોને પહોંચી વળવા ૧૫૦ જેટલા એમ.બી.બી.એસ. ડોક્ટર્સ કોરોના વોરિયર્સ બની કોવિડ ડ્યૂટીમાં જોડાશે. બે દિવસની ઓરિએન્ટેશન ટ્રેનિંગમાં ઈન્ફેકશન પ્રિવેન્શન અને કંટ્રોલ, કાળજી અને કોરોનાથી પોતાની જાતને કેવી રીતે રક્ષણ કરવું એની તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત, સાથી તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓની સારવારમાં તમામ પ્રકારની સાવચેતી અંગે માહિતગાર કરાયા હતાં. પીપીઈ કિટ પહેરતી વખતે એક બીજાને મદદરૂપ થઈ કોવિડ વોર્ડમાં જતાં પહેલાં “બડી ટેક્નિક”ને અપનાવે. બડી એટલે સાથી ડોક્ટર કે નર્સ. પી.પી.ઈ.કીટ પહેરવામાં આ સાથીમિત્રની લેવામાં આવતી મદદને બડી ટેક્નિક કહેવાય છે. હેન્ડ હાઇઝિન અને સેલ્ફ હેલ્થ પણ જરૂરી છે.

Surat Nurse shapath 2

તાલીમમાં ભાગ લઈ રહેલાં ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો.શ્વેતાએ જણાવ્યું હતું કે, મારી કોવિડ ફરજ દરમિયાન નર્વસ હતી. પરંતુ કોલેજના પ્રોફેસરો અને હોસ્પિટલ સ્ટાફનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે. જેથી કોરોના સામે લડવા માટે મનોબળ મજબૂત બન્યું છે. અમે એક પરિવારની જેવાં જ માહોલમાં રહી સલાહ સૂચનો અને માર્ગદર્શન મેળવીએ છીએ. મનમાંથી કોરોનાનો ડર નીકળી ગયો છે. હું તાલીમ મેળવી કોરોના સંક્રમિત દર્દીઓની સેવા સારવાર કરવા તત્પર છું.
  સાઈકિયાટ્રીસ્ટ રેસિડેન્ટ ડો.દર્શન ચૂડાસમાએ કહ્યું કે, કોરોના વાયરસની હાલની સ્થિતિમાં લોકોને કોરોનાનો ભય વધારે ડરાવે છે. સામાન્ય રીતે ૯૫ ટકા લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરે છે. જેથી સાવચેતી રાખવામાં આવે અને કોરોનાગ્રસ્ત થયાં પછી પણ સમયસર નિયત સારવાર લેવામાં આવે તો ઝડપથી કોરોનાને હરાવી શકાય છે. હું હોસ્પિટલથી ઘરે ગયા બાદ સાવચેતીના પગલાઓનું ખાસ ધ્યાન રાખુ છું, જેથી બીજા કોઈને ઇન્ફેશન ન લાગે. કોરોના સંક્રમિત દર્દી શારીરિક કરતા માનસિક રીતે વધારે ભાંગી પડતો હોય છે. આવા સમયે તેમની સાથે રહી તેમનું મનોબળ મક્કમ કરવાની જરૂર હોય છે. અમે આ તમામ બાબતો તાલીમ દરમિયાન શીખ્યા છીએ. આવી મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે જેથી અમે કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરીએ.