મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ
રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને અને મનમાં હતાશા ન છવાઈ તેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના દર્દીઓ માટે સંગીત થેરાપીનો અમલ કરવામાં આવી રહ્યો છે.
સંગીત માનવી ઉપર દવાનું કામ કરે છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દિવસમાં ત્રણ વખત મ્યુઝિક સંભળાવવામાં આવે છે. જે મ્યુઝિક ઈન મેડીસીનમાં ડિગ્રી પ્રાપ્ત ગુજરાતના જાણિતા ડોક્ટર પાર્થ ઓઝા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેમાં સમય અને રાગ-રાગીણીની અસરથી તૈયાર કરાયેલુ મ્યુઝિક વગાડવામાં આવે છે. જેનાથી દર્દીમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો, માનસિક શાંતિ, હકારાત્મક ઉર્જાનો અહેસાસ, મીઠી ઉંધ આવે છે જે કોઈપણ રોગની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે. સવારે સિતારનું મ્યુઝિક સાંભળવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે, સાંજના સમયે બે થી ત્રણ ઈન્સ્ટુમેન્ટનું સંયુક્ત મ્યુઝીક સાંભળવાથી ઉદ્વેગ કે ચિંતા દુર થાય છે અને રાત્રે વાંસળીનું સંગીત સાંભળવાથી મન શાંત થાય છે અને દર્દીને ઉંધ સારી આવે છે. અમુક દરદીઓ ખુબ સારો પ્રતિભાવ આપે છે. તેમ પી.ડી.યુ મેડીસીન ડિપર્ટમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસર ડો. આરતી ત્રિવેદીએ જણાવ્યું હતું.
ડો. ચેતના ડોડીયા રેડીયોલોજીસ્ટ જણાવે છે કે, મ્યુઝીક નાના મોટા બધાને ગમે છે. અહીં જે દરદી છે તે સગાવહાલાથી દુર છે, સ્ટ્રેસ અનુભવે છે તેમને મ્યુઝીકથી તેમનો સ્ટ્રેસ દુર થાય છેતે અમે જોઈ શકીએ છીએ, મ્યુઝિક થી તેમનું હિલીંગ થાય છે જેથી કોરોના સામે લડવામાં ઘણી મદદ મળે છે
દર્દી ભાવેશ ચાવડાએ કહ્યું હતુ કે, અહીં સવાર બપોર અને સાંજે મ્યુઝીક થેરાપી આપવામાં આવે છે. જેને સાંભળીને ખુબ આનંદ થાય છે. જ્યારે અન્ય દર્દી ઉમેશભાઈ જણાવે છે કે, મ્યુઝીક થેરાપી ત્રણ ટાઈમ મળે, જેની અમને મજા આવે છે.
આ બાબતે ડો. પાર્થ ઓઝા જણાવે છે કે, મ્યુઝીક થેરાપી વડે કેવી રીતે કોવિડ – ૧૯ ના દર્દીઓ માટે હકારાત્મકતા ભર્યો માહોલ, શાંત, વાતાવરણ, તણાવ રહીત વાતાવરણ સારૂં બનાવવાનો પ્રયાસ છે. આમાં ત્રણ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આહિર ભૈરવ, ભીમ પલાસી અને ભોપાલી રાગનો સમાવેશ કરાયો છે. કોરોનાના દર્દીને અપાતી મુખ્ય સારવારની ઉપરાંત મ્યુઝીક થેરાપી તેમના આરોગ્યના સુધારામાં મહત્વનો ભાગ ભજવે છે.
આમ જોઈએ તો સંગીત હવે માત્ર મનોરંજન માટેનો પ્રકાર નથી રહ્યો. વિશ્વભરમાં સંગીતને ઔષધિ તરીકે અપનાવી લેવામાં આવ્યું છે.
અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ