કોવીડના તમામ સ્ટાફને આગજની રોકવા અગ્નિશામક સાધનોની આપવામાં આવેલ તાલીમ કામ લાગી
- સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં રૂટિન ઇન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટિંગ દરમ્યાન શોર્ટ સર્કિટ
- મેડિકલ ટીમની સમય સુચકતાથી આગજનીની ઘટના ટળી
- કોવીડના તમામ સ્ટાફને આગજની રોકવા અગ્નિશામક સાધનોની આપવામાં આવેલ તાલીમ કામ લાગી
અગ્નિશામક સાધન સુવિધા
· ૧૦૦ થી વધુ અગ્નિશામક સાધનો, પોર્ટેબલ એક્સ્ટિંગ્યુસર, ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ ફાયર એક્ઝિટ દરવાજા, દરેક ફ્લોર પર રેમ્પ અને દાદરાની વ્યવસ્થા, ૨૪ કલાક ફાયર ફાઈટર હાજર રાઉન્ડ ઘી ક્લોક ગ્રાઉન્ડ ફ્લોર, ત્રીજા અને પાંચમા માળે ફાયર સેફટી ઓફિસર હાજર
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ
રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સૌરાષ્ટ્રની સૌથી અદ્યતન સિવિલ હોસ્પિટલ સ્થિત પી.એમ. એસ. એસ. વાય. બિલ્ડીંગ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલના ‘ટ્રાઈએજ’ ઇમરજન્સી વિભાગમાં દિવસના ત્રણ ટાઈમ રોજ બાયોમેડિકલ એન્જીનીયર દ્વારા તમામ ઇન્સ્ટ્રુમેન્ટનું ચેકીંગ થાય છે. વેન્ટિલેટર, ઓક્સિજન પાઇપ અને તેનું પ્રમાણ વગેરે સતત મોનીટરીંગ કરવામાં આવે છે.
હાલ આ વિભાગમાં ૭ બેડ પૈકી એક બેડ પર દર્દીની સારવાર ચાલી રહેલી છે, જયારે અન્ય ૬ બેડ ખાલી રહેલા છે. આજે સવારે ૧૦:૩૦ વાગ્યે બાયોમેડિકલ એન્જીનીયર મહીપત ચૌહાણ સાધનોનું રૂટિન ચેકીંગ કરતા હતા, ત્યારે વેન્ટિલેટર પાસે સ્પાર્ક થતા ખાલી બેડ પર ભડકો થયો હતો. આ સમયે સાથે હાજર રેસિડન્ટ ડોકટર રાહુલ ખોખર અને સ્ટાફ નર્સ ધર્મેશ બડમેલીયાએ સમય સુચકતા વાપરીને આ દુર્ઘટના કોઈ મોટું સ્વરૂપ લે તે પહેલા તેમની પાસે રહેલા હેન્ડી અગ્નિશામક CO2 થી સ્પ્રે કરી તેમજ અગ્નિશામક એક્સ્ટિંગ્યુસરની મદદથી માત્ર ૩૦ સેકન્ડમાં આગને બુજાવી દીધી હોવાનું ડો. જતીન ભટ્ટે જણાવ્યું છે.
કોવીડ હોસ્પિટલ ખાતે કોઈપણ પ્રકારની આગજનીની દુર્ઘટના બને નહી તે માટે પૂરતી સાવધાની રાખવામાં આવે છે. આમ છતાં આ પ્રકારે કોઈ ઘટના બને તો તેને તુર્તજ કાબુમાં લેવા માટે તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને સ્ટાફને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવેલી હોવાનુ અહીંના ફાયર સેફટી ઇન્ચાર્જ જયદીપ ભાઈએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં જુદા જુદા ફ્લોર પર ૧૦૮ મોટા અગ્નિશામક એક્સ્ટિંગ્યુસર રાખવામાં આવેલા છે. દવાઓના દરેક રેક માં પણ પોર્ટેબલ એક્સ્ટિંગ્યુસર (નાના CO2 સ્પ્રેયર) પણ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત હોસ્પિટલના તમામ સ્ટાફને અગ્નિશામક સાધનો વાપરવાની તાલીમ પણ આપવામાં આવી છે. જે આજે કામ આવી હોવાનું જયદીપભાઈએ જણાવ્યું છે. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર, બીજા અને પાંચમા માળે ફાયર સેફટી ઓફિસર હાજર હોય છે, જે આ પ્રકારે ઈમરજન્સીમાં મદદરૂપ બને છે. કોવીડ હોસ્પિટલ બહાર ૨૪ કલાક એક ફાયર ફાઈટર રાખવામાં આવે છે, જે જરૂર પડ્યે મોટી આગજની ઘટનાને પહોંચી વળવા સક્ષમ છે. રાજકોટ સિવિલમાં કોરોનાના દર્દીઓને કોઈપણ પ્રકારે મુશ્ક્લી ન પડે તે માટે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની સાવધાની અને પૂરતી ચોકસાઈ રાખવામાં આવતી હોવાનું મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.