મુખ્યમંત્રી શ્રીએ સુરત શહેરના અને સુડાના મળીને રૂ.૨૦૧.૮૯ કરોડના વિકાસકામોનુ લોકાર્પણ કર્યું
- સુરત મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૫૪ કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ રિસર્ફેસીંગ, રિકાર્પેટીંગ, મિલીંગ કર્યા
- પાલિકા દ્વારા શહેરમાં બિટયુમીનસ રસ્તાઓમાં શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રસ્તાઓ બનાવવામાં આવે છે
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત
સુરત, ૨૧ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત શહેરના અને સુડાના મળીને રૂ.૨૦૧.૮૯ કરોડના વિકાસકામોનુ લોકાર્પણ કર્યું છે, ત્યારે વિકાસની તેજ ગતિને જાળવી રાખવા કોરોના સંકટ વચ્ચે પણ સુરત મહાનગરપાલિકા કાર્યરત છે. જે અંતર્ગત શહેરમાં વરસાદને કારણે ડામરના રસ્તાઓની ટોપ સરફેસમાંથી પાણી સબગ્રેડ સુધી પહોંચવાને કારણે રસ્તાઓ ઉપર થતા વારંવારના મેઈન્ટેનન્સ તથા નુકસાનને દુર કરવા માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં અંદાજે ૧,૩૭,૯૪૧.૦૧ ચો.મી. ક્ષેત્રફળના રસ્તાઓ રિસર્ફેસીંગ કરવામા આવ્યા છે.
ડામરની કિંમત સહિત અંદાજે રૂ.૮.ર૦ કરોડના ખર્ચે પોલિમરીક માર્ગ ટેકનોલોજીથી રસ્તા રિસર્ફેસીંગની કામગીરી કરવામાં આવી હતી. ગત વર્ષ દરમ્યાન અંદાજે ૩.૧૩ લાખ ચો.મી. વિસ્તારના વિવિધ રસ્તા/બ્રિજ તથા બ્રિજ એપ્રોચને રૂા.૪.૧૬ કરોડના ખર્ચે માઈક્રોસર્ફેસીંગ પધ્ધતિથી રિસર્ફેસીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ નવી પધ્ધતિથી રિસર્ફેસીંગ કરવાથી રસ્તાની લાઈફ તથા સ્કીડ રેઝિસ્ટન્સમાં વધારો થાય છે, અને પાણીના કારણે રસ્તાને નુકસાન થવાનું નહિંવત બને છે.
રસ્તાના હયાત લેવલમાં પરંપરાગત પધ્ધતિની સરખામણીએ ખુબ જ નજીવો એટલે કે માત્ર ૦૬ થી ૧૪ મી.મી. જેટલો જ વધારો થતો હોઈ આજુબાજુની મિલકતની સરખામણીએ રસ્તાના લેવલ જળવાઈ રહે છે, અને રિસર્ફેસીંગનો સમયગાળો લંબાવી રસ્તાની લાઈફ સાઇકલ કોસ્ટ ઘટાડી શકાય છે. રસ્તાના વધતા જતા લેવલના નિરાકરણ માટે સુરત શહેર વિસ્તારના રસ્તાઓને મિલીંગ કરવાના કામે અંદાજે ૧,પ૦,૦૦૦.૦૦ ચો.મી. વિસ્તારમાં રોડને રૂ.૧.૬ર કરોડના ખર્ચે મિલીંગ કરવામાં આવ્યા છે. આમ વર્ષ ૨૦૧૯-૨૦માં આશરે રૂ.૫૪ કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ રિસર્ફેસીંગ, રિકાર્પેટીંગ, મિલીંગ કરાયા છે.
સાઉથ-વેસ્ટ(અઠવા) ઝોનમાં સમાવિષ્ટ અંદાજે ૩૦૦૦ મીટર રોડ, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ, સ્ટ્રીટ ફર્નિચર, ટ્રાફિક સાઈનેજીસ, હોર્ટિકલ્ચર તેમજ લેન્ડ સ્કેપીંગના વિકાસકામ રૂ. રપ.૭૯ કરોડના ખર્ચે સંપન્ન થયું છે. ખાટુશ્યામ મંદિરથી વેસુ જંકશન સુધીના ર.૮પ કિ.મી. લંબાઈના રસ્તાને ૪પ.૦ મી. પુરેપુરી પહોળાઈમાં રૂ. ૧૪.૩૦ કરોડના ખર્ચે ડેવલપ કરાયું છે.
ઉપરાંત, પ્રધાનમંત્રીના સ્વચ્છતા મિશનના ભાગરૂપે સુરત શહેરમાંથી ઉત્પન્ન થતા ઘન કચરા પૈકી પ્લાસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલની સમસ્યાના નિવારણ અર્થે શહેર વિસ્તારનાં બિટયુમીનસ રસ્તાઓમાં શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રસ્તાઓ બનાવવામાં આવે છે. સુરતમાં ર૧.૯૬ કિ.મી. લંબાઈના રસ્તાઓને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી રિકાર્પેટ કરવામાં આવ્યા છે. આ પદ્ધતિ મુજબ બનાવેલા બિટયુમીનસ રોડ ગ્લોબલ વોર્મિંગમાં તથા પ્રદુષણમાં ઘટાડામાં ઉપયોગી નીવડે છે. જેથી રોડની મજબુતાઈમાં વધારો થાય છે તેમજ પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો રચનાત્મક ઉપયોગ થઇ શક્યો છે.