Anant patelની કલમે…કેટલાક નિરર્થક ઉદગારો–સવાલો….
Anant patelની કલમે… હળવી શૈલીનો લેખ
Anant patelની કલમેઃ જાહેર રજાના કારણે બેંક બંધ હોય, દરવાજે તાળુ મારેલ હોય તો ય બેંક આગળ આવી બાઇક ઉભુ રાખી એક યુવતી પૂછે છે,
” આજે કેમ બેંક બંધ છે ? “
પછી કોઇ જવાબ આપે કે આજે તો રજા છે તો એ મોંઢુ બગાડીને પાછી વળે…
કોઇપણ વ્યક્તિ કશુંક કામ કરતી હોય, આપણે એ જોતા હોઇએ તો ય પાછા પૂછીએ,
” કેમ કાકા શું કરો છો ?? “
મહેમાન આવે ત્યારે આવો કહી સ્વાગત કરીએ પણ પછી એ ઝટ વિદાય લે એવું વિચારીએ અને એ ખરેખર વિદાય લે ત્યારે પાછા કહીએ કે બસ ત્યારે આવજો હોં……છે ને ના સમજાય એવું..!!!
બોલે એનાં બોર વેચાય એવું કહેનાર પાછા એમને ના બોલવું હોય તો કહી દે કે ન બોલ્યામાં નવ ગુણ……
આ સરકાર શું કરવા ધારે છે કંઇ હમજાતું જ નથી….. રોજ રોજ નવા નવા કાયદા ને નિયમો બહાર પાડે જ જાય છે……..
બોલાં અમને તો ખબર જ હતી કે આ ગઠબંધનની સરકાર ઝાઝું નથી જ ચાલવાની, જૂઓ મેં કહેલું હાચુ પડ્યુ કે નહિ ??
મંદિરે બેઠેલી કે તમારે ઘેર ભીખ માગવા આવેલી ભિખારણ એક રૂપિયાના બદલામાં
” તમારા ભંડાર ભરેલા રહેશે..”
” તમારી લીલી વાડી કાયમ લીલી રહેશે..”
એવી દુવા દરેકને આપતી જ રહે છે……એ પોતાનું દારિદ્ર દૂર ના કરી. શકે પણ તમને તો મોટા આશીર્વાદ આપે……લ્યો કરો વાત
દરેક સ્ત્રી વહુ હોય ત્યારે એને સાસુમાં ખામી દેખાય ને એ જ્યારે સાસુ બને ત્યારે એને વહુમાં ખામી દેખાય…..બોલો આ એક એવું દૂષણ છે જે ધરતીના પ્રલય સુધી અસ્તિત્વમાં રહેશે…..કેમ ખરુને ??
સ્મશાનમાં કોઇની અંતિમ યાત્રામાં ગયેલા લોકો સ્મશાનમાં બેઠા હોય એટલી વાર કેટલી જ્ઞાન અને મહાજ્ઞાનની તેમ જ સન્યાસની વાતો કરે છે…!!!!!
મફતમાં મેળવેલ વસ્તુનાં લગભગ દરેક ગૃહિણિ ગુણગાન ગાતી જ હોય છે…..
કોઇ નિયમિત રીતે સાંજે મંદિરે કે બગીચે બેસવા આવે તો લોકો એવું ય વિચારે છે કે જૂઓ નવરા પડ્યા કે આવી ગ્યા ગામની પંચાત કૂટવા….( પણ લ્યા એમાં તું એમની પંચાત કરવા કેમ બેઠો ??)
મંદિરમાં કોઇ સુખી સંપન્ન બહેન રોજ ખોળો પાથરીને ભગવાનની વંદન કરતી જોઇને કોઇ એવું ય વિચારનારા હોય છે કે આ બહેનને કાંઇ વાતની તકલીફ નથી તો ય જૂઓ રોજ મંદિરમાં ખોળો પાથર્યા જ કરે છે….. ( અલ્યા પણ એમાં તને શું તકલીફ છે એ તો બોલ !!!! )
પોતે કોઇને ક્યારેય ફોન ના કરે ને કોઇનો ફોન આવે તો વાત પૂરી થયા પછી પત્નીને કહે કે જો ફલાણા ભાઇ કેવા છે, કામ હોય તો જ ફોન કરે છે..( અલ્યા પણ ભઇ તું ય ક્યા દા’ડે એમને ફોન કરે છે એ તો વિચાર !!!! )
કોઇ ક્યારેક હસીને બોલે કે વાત કરવાની કોશિશ કરે તો કેટલાક લોકોને અમાં ય શંકા થતી હોય છે કે કોઇ દિવસ નહિ ને આજે એ કેમ હસ્યા ? નક્કી કંઇ જરૂર પડી છે અથવા નજીકના ભવિષ્યમાં પડવાની લાગે છે…..
જૂઓ ભાઇ ઉપરનાં બધાં અવલોકનો અમે તો તમને સહેજ મલકાવવા માટે જ રજુ કર્યાં છે, બાકી એમ તો અમે ય કંઇ બહુ નવરા નથી હોં…!!! ( તમે પાછા આ બૈલ મુજે માર જેવું અમારા માટે ના ધારતા…. !!!!)
આ પણ વાંચો…
સારા સમાચારઃ અદાર પૂનાવાલાએ ત્રીજી વેક્સીન(Vaccine) વિશે કરી જાહેરાત, જૂન 2021 સુધીમાં લોન્ચ થશે!