કરુણા અભિયાનઃ પતંગ દોરાથી 1468 પશુ-પક્ષીઓ ઘવાયા અને 37 પક્ષીઓએ જીવ ગુમાવ્યો, ડોક્ટરે કહ્યું લોક જાગૃતિના કારણે મૃત્યાંકમાં ઘટાડો
અમદાવાદ, 21 જાન્યુઆરીઃ ઉત્તરાયણ પર્વે મુખ્યમંત્રીની પ્રેરણાથી અને રાજ્ય સરકારની જીવદયાની નીતિ હેઠળ પશુપાલન અને વન વિભાગના સંયુક્ત આયોજન અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓના સહયોગ થી દશ દિવસનું કરૂણા અભિયાન ૨૦૨૧ હાથ ધરવામાં આવ્યું જેનું તા.૨૦ ના રોજ સમાપન થયું હતું.આ દશ દિવસો દરમિયાન ૫૯૯ પશુઓ અને ૮૬૯ મુક પક્ષીઓ મળીને પતંગ,દોરાના ઇજાગ્રસ્ત અને ઘૂઘરી સેવનથી બીમાર પડેલા સહિતના કુલ ૧૪૬૮ પશુ પક્ષીઓને તબીબી ટીમો દ્વારા યથાઉચિત જીવન રક્ષક સારવાર આપવામાં આવી હતી.
ખૂબ મહેનત કરવા છતાં ઈજાઓ જીવલેણ હોવાને લીધે ૩૭ પક્ષીઓના મરણ થયાં હતાં.
આ અંગે જાણકારી આપતાં જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો.પ્રકાશ દરજીએ જણાવ્યું કે આ વર્ષે લોક જાગૃતિ અને સહયોગના પગલે ગયા વર્ષની સરખામણીમાં પક્ષીઓનો મરણ દર સાવ નજીવો એટલે કે લગભગ ૪.૨૫ ટકા જેટલો રહ્યો છે.ઇજાના કેસો ગયા વર્ષે ૨૫૦૦ થી વધુ હતા જેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.પશુપાલન અને વન વિભાગની ૧૭ જેટલી કચેરીઓની સાથે પ્રાણી કલ્યાણ સંસ્થાઓ આ જીવન રક્ષક અભિયાનમાં જોડાઈ હતી.
અભિયાનના ભાગ રૂપે મોટે ભાગે હાડકું ભાંગવાની ઈજાઓ થઈ હોય તેવા પક્ષીઓની બોન પીનિંગ સર્જરી, મસલ્સ જેવી ઈજાઓ માં ટાંકા લેવા અને જરૂરી ડ્રેસિંગ અને પાટાપિંડીની કામગીરી તબીબી ટીમોએ નિષ્ઠાપૂર્વક કરી હતી.
તેમણે જણાવ્યું કે ઇજા પામેલા પક્ષીઓના ટાંકા લેવા માટે અદ્યતન વાયક્રિલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ ટાંકા તોડવાની જરૂર પડતી નથી અને ઘા રૂઝાતા આ ટાંકા આપમેળે શરીરમાં ઓગળી જાય છે.
અભિયાનના ભાગ રૂપે વન વિભાગ દ્વારા સયાજી બાગ નર્સરીમાં,સારવાર હેઠળના ઘાયલ પક્ષીઓને રાખવા માટે આશ્રય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જ્યાં ૪૮૦ જેટલા ઇજાગ્રસ્ત કબૂતરો સાજા થઈ રહ્યાં છે જ્યારે સંપૂર્ણ સાજા થઈ ગયેલા ૩૮૧ જેટલાં કબૂતરોને ગગન વિહાર માટે મુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના પાંચ આંચકા નોંધાયા, જાણો વિગતે