કોરોના હજી ગયો નથીઃ માસ્ક પહેરો નહીં તો થશે દંડ, જાણો સરકારે માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી કેટલા કરોડનો દંડ વસુલ્યો!
અમદાવાદ, 25 ડિસેમ્બરઃ ગુજરાતના લોકોએ સાવધાન થવાની જરુર છે. ઘણા લોકો હવે ફિકર વિના ફર્યા કરે છે. લોકોએ સમજવાની જરુર છે કે હજી કોરોના ગયો નથી, તેની સાવધાની રુપે લોકોએ માસ્ક પહેરવું જોઇએ. ગુજરાતમાં કોવિડને લાગતાં ઘણાખરા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યાં છે. પરંતુ, હજુ પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ લોકો આ વાતને ગંભીરતાથી લેતા નહીં અને માસ્ક વગર બહાર નીકળી પડે છે. પરંતુ ગુજરાત સરકારે ગુરુવારે હાઇકોર્ટમાં જે માહિતી આપી છે તે મુજબ, કોવિડ -19 રોગચાળા દરમિયાન માસ્ક ન પહેરનારા 23 લાખથી વધુ લોકો પાસેથી લગભગ 115 કરોડ રૂ.ની વસૂલાત કરી છે.
સોગંદનામામાં ગુજરાત સરકારે કહ્યું કે, 22 ડિસેમ્બર સુધી માસ્ક ન પહેરવા અથવા તેમના ચહેરાને યોગ્ય રીતે ન ઢાંકવાના કારણે 23,64,420 લોકો પાસેથી 1,15,88,00,000 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ કેસમાં આગામી સુનાવણી 8 જાન્યુઆરી 2021 ના રોજ થશે.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ સોગંદનામું દાખલ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોવિડ -19 નાં ફેલાવાને લગતા વિવિધ પાસાં પરની રચનાત્મક અરજીની સુનાવણી કરતી આ સ્પેશિયલ ખંડપીઠ છે.