સરકારની ચિંતામાં વધારો, રાજ્યમાં કોરોના વાયરસ(coronavirus)ના કેસોમાં વધારો યથાવત્, નવા 380 કેસો નોંધાયા
ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ રાજ્યમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં ફરી જીવલેણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ફરી ૧૮૦૦ને પાર કરી ૧૮૬૯ પર પહોંચી છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના(coronavirus) નવાં ૩૮૦ કેસ અને એક મોત નોંધાયું છે. ચૂંટણીના કારણે લોકોને મળેલી ક્ષણિક રાહત પૂર્ણ થવાની અને નિયમો ફરી કડક થવાની શક્યતા આ આંકડાઓ પરથી લાગી રહી છે.
રાજ્યના શહેરમાં તબક્કાવાર કેસોની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં ૮૪, વડોદરામાં ૮૦, સુરતમાં ૬૪, રાજકોટમાં ૫૫, જામનગરમાં ૧૬ અને ગાંધીનગરમાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના જિલ્લાઓમાં સાત કે તેથી ઓછાં કેસો નોંધાયા છે. મહાનગરોમાં નોંધાઇ રહેલા કેસોમાં ધીમે-ધીમે નોંધાઇ રહેલો વધારો યથાવત્ છે. આજે અમદાવાદમાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુઆંક ૪૪૦૭ પર પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લાં બે મહિનાથી એવી પરિસ્થિતિ હતી કે નવાં કેસોની સંખ્યા કરતા વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં હતા, પરંતુ છેલ્લાં દસ દિવસથી નવાં નોંધાતા કેસો કરતા ખૂબ ઓછાં દર્દીઓને રોજ ડિસ્ચાર્જ મળી રહ્યું છે. આજે નોંધાયેલા નવાં ૩૮૦ કેસો સામે ૨૯૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેથી અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૧૮૬૯ છે. જે પૈકી ૩૩ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૮૩૬ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮,૧૬,૨૩૮ લોકોએ કોરોનાની રસીના પહેલો ડોઝ અને ૭૪,૪૫૭ લોકોએ બીજો ડોઝ મેળવ્યો છે.
આ પણ વાંચો…