Gujarat Polio campaign: રાજયવ્યાપી “૫લ્સ પોલિયો અભિયાન”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
Gujarat Polio campaign: બાળ લકવા નાબૂદી અભિયાનઃ૨૦૨૨
રાજયના શૂન્યથી પાંચ વર્ષના અંદાજે ૭૫ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી: Gujarat Polio campaign: રાજયનુ પ્રત્યેક બાળક સ્વસ્થ અને નિરોગીમય બની રહે એવા નિર્ધાર સાથે આજે ગાંધીનગર ખાતેથી રાજયવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં શૂન્યથી પાંચ વર્ષના અંદાજે ૭૫ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, રાજયવ્યાપી યોજાનાર આ અભિયાન માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરીને સઘન આયોજન કરાયું છે જે અંતર્ગત રાજયમાં કુલ ૩૮,૩૯૫ બુથનું આયોજન કરીને ૭૪૬૫ સુપરવિઝન ટીમો દ્વારા અંદાજે ૧,૫૮,૮૬૧ જેટલા આરોગ્ય કર્મીઓ સેવાઓ આપશે. રાજયના તમામ વિસ્તારો અને બાળકો રક્ષિત કરવા માટે વાડી વિસ્તાર, અંતરીયાળ વિસ્તાર, દરીયાઈ વિસ્તાર વગેરે માટે ૨૯૩૪ મોબાઈલ ટીમો બનાવવામાં આવેલ છે અને બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ વગેરે માટે ૨૪૪૯ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.
મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, રાજયમાં અસરકારક કામગીરી કરવા માટે રાજય સરકારના અધિકારીઓ ઘ્વારા સુ૫રવિઝન કરવામાં આવે છે. (Gujarat Polio campaign) જિલ્લા કક્ષાએ કલેકટરની આગેવાની નીચે જિલ્લા ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે અને કોર્પોરેશન કક્ષાએ મ્યુનિસિપલ કમિશ્નરની આગેવાની નીચે કોર્પોરેશન ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે દરેક જિલ્લામાં વર્ગ-૧ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિયુક્ત કરી તાલુકાઓની જવાબદારી સોં૫વામાં આવી છે.
મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, બાળકની સલામતી માટે અને દસ ગંભીર રોગથી રક્ષણ આ૫વા માટે રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહયો છે. જે અન્વયે દરેક વિસ્તારોમાં ચોકકસ દિવસે (બુધવારે) અને આરોગ્ય કેન્દ્રમાં સોમવારે મમતા દિવસ દ્રારા સગર્ભા માતા અને બાળકોને વિનામૂલ્યે રસીઓ આ૫વામાં આવે છે.
મંત્રી વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, દરેક બાળક નિરોગી રહે અને રાજયમાં બાળલકવા નાબૂદી અભિયાન સફળ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અંગત રસ દાખવ્યો છે. નવા જન્મેલા બાળકને, બાળકની સામાન્ય બિમારીમાં, તેમજ અગાઉ ગમે તેટલી વખત રસી આપેલ હોય તો ૫ણ આ પોલિયો રાઉન્ડમાં રસી અવશ્ય અપાવવી જોઈએ. તા. ૨૭ ફેબ્રુઆરી 2022 (રવિવાર) થી શરૂ થતા પોલિયો રાઉન્ડમાં ૦-૫ વર્ષનાં તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા દરેક વાલીઓને જાહેર અપીલ પણ મંત્રી વાઘાણીએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળલકવા નાબૂદી માટે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજયમાં ઘનિષ્ઠ અભિયાન અંતર્ગત ૦-૫ વર્ષનાં બાળકોને પોલિયો વિરોધી રસી આ૫વામાં આવે છે. એપ્રિલ -ર૦૦૭ પછી આજ દિન સુધીમાં ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયેલ નથી. આજ રીતે સાતત્યપૂર્ણ રીતે તમામ કર્મચારી, અધિકારીશ્રી સામાજિક સંસ્થાઓ/ કાર્યકર કામગીરી કરે તો ગુજરાત પોલિયો નાબૂદી તરફની જરૂર જાળવી રાખશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યકત કર્યો હતો.
ઉપરાંત,ગુજરાત સરકારની સરાહનીય કામગીરી બદલ યુનાઇટેડ નેશન સંસ્થાઓ જેવી કે વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફના પ્રતિનિધિઓ .યુ(બાન) સુન તાઇક, ડો.નાતા મેનાબ્દે, લુઇ જયોર્જ આરસેનોટ દ્રારા વર્ષ ૨૦૧૫ માં ગુજરાત સરકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, એન.એચ.એમ ના મિશન ડાયરેક્ટર રેમ્યા મોહન, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ૦-૫ વર્ષના બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.