જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટ: જગત રાવલ, જામનગર
જામનગર નજીકની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પાકિસ્તાની સૈન્યની ઘુસણખોરી સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્ર દળની જીતની 21 મી. વર્ષગાંઠ નિમિતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે શૌર્યસ્તંભ – શહીદ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે કેડેટ શૌર્ય ડે અને કેડેટ પાર્થ મિશ્રાએ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા ‘કારગિલ વિજય દીવસ’ની ઉજવણીની ટૂંકી રજૂઆત કરી હતી.
કોવિડ-19ના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઉપસ્થિત નથી માટે આ ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને સ્કૂલના આચાર્ય ઓનલાઇન મોડ દ્વારા કેડેટ્સને સંબોધન કર્યું હતું.
આચાર્યએ પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે રાષ્ટ્રના દુશ્મન સામે લડતા પોતાનો જીવ આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાની શ્રેષ્ઠ રીત તે સૈનિકોની જેમ શિસ્ત અને જુસ્સોનું વલણ કેળવવું તે છે. તેમણે ‘સૈનિક’ શબ્દની ઉત્પત્તિ અને તેની ફરજો વિશે વધુ માહિતી આપી અને કહ્યું કે સૈનિકો લોકશાહી ભારતના ખરા પ્રતિનિધિઓ છે. તેમણે ‘કારગિલ વિજય દીવસ’ના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.