મહત્વનો નિર્ણય : ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા, આખરે IPL 2021 સસ્પેન્ડ
સ્પોર્ટ્સ ડેસ્ક, 04 મેઃ કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઈપીએલ(IPL 2021)ના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2021(IPL 2021) ને રદ કરી દીધી છે.વધતા કેસને જોતા ભારતીય અને વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી હટવાનું વિચારી રહ્યા હતા.
સોમવારે પહેલા કોલકારા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થનારી મેચને કોરોનાના કેસને પગલે ટાળવામાં આવી હતી. આ મેચ(IPL 2021) અમદાવાદમાં રમાનાર હતી પરંતુ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા.
આઈપીએલ(IPL 2021)ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યાં મુજબ મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહા પણ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો. બીસીસીઆઈના અનેક ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બસના ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટીવ આવ્યો. જો કે બાલાજી અને બસના ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
નોંધનીય છે કે, અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પહેલા જ કોરોના વાયરસના વધતા કેસના પગલે પોતાના દેશ પાછા ફર્યા હતા. જેમાં એડમ જંપા, એ્ડ્રુ ટાય, અને કેન રિચર્ડસન સામેલ હતા. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને પણ બાયો બબલના થાકથી કંટાળીને ઈંગ્લેન્ડ પાછા ફરવાનું નક્કી કર્યું હતું. આ બધા વચ્ચે દિલ્હી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલના રોજ આઈપીએલમાંથી(IPL 2021) બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો….