ODI New captain: ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શનના પગલે અજિંક્ય રહાણેને વાઈસ કેપ્ટન પદેથી હટાવાયો, હવે દ.આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ ટીમ જાહેર- વાંચો વિગત
ODI New captain: દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ટેસ્ટ ટીમની જાહેરાત સાથે BCCIએ રોહિત શર્માને સત્તાવાર વનડે અને T20 કેપ્ટન તરીકે જાહેર કર્યો
સ્પોર્ટ્સ ડેસ્ક, 09 ડિસેમ્બરઃ ODI New captain: રોહિત શર્મા હવે ભારતનો નવો વનડે કેપ્ટન બની ગયો છે. T20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી હતી. જોકે ત્યારપછી વ્હાઈટબોલ ક્રિકેટના ભવિષ્ય અંગે BCCI મોટો નિર્ણય લઈ શકે છે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા ટૂર પહેલા ટેસ્ટ ટીમની જાહેરાત સાથે BCCIએ રોહિત શર્માને સત્તાવાર વનડે અને T20 કેપ્ટન તરીકે જાહેર કરી દીધો છે. વળી બીજી બાજુ રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા ટૂરથી ટેસ્ટ ફોર્મેટનો વાઈસ કેપ્ટન પણ પસંદ કરાયો છે. આ દરમિયાન ખરાબ પ્રદર્શનના કારણે ટેસ્ટ ફોર્મેટમાં વાઈસ કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેનું પત્તું પણ કપાઈ ગયું છે.
લિમિટેડ ઓવર ક્રિકેટમાં રોહિત કેપ્ટન
- BCCIના અધિકારીનું માનવું છે કે વનડે અને T20 માટે અલગ-અલગ કેપ્ટન ન હોવા જોઈએ. આ જ કારણોસર રોહિત શર્માને લિમિટેડ ઓવર ફોર્મેટની કેપ્ટનશિપ સોંપી દેવામાં આવી છે.
- રસપ્રદ વાત છે કે 2022 (T20) અને 2023ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને BCCI ટીમમાં જંગી ફેરફાર કરવા જઈ રહી છે.
- તેવામાં સિલેક્ટર્સના મતે રોહિતને વનડે વર્લ્ડ કપ પહેલા પોતાની ટીમ બનાવવા અને પરફેક્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવા માટે યોગ્ય સમય આપવા આ નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે, ધોનીએ જ્યારે લમિટેડ ફોર્મેટના કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું, ત્યારે વિરાટ જાન્યુઆરી 2017માં ભારતનો વનડે કેપ્ટન બન્યો હતો. આ સમયગાળા દરમિયાન ધોનીએ પણ કોહલીને પોતાની ટીમ બનાવવા અને વર્લ્ડ કપમાં પોતાના ગેમપ્લાન સહિત ખેલાડી પસંદ કરવા સમય મળે એના માટે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે વિરાટ કોહલી 2019નો વનડે વર્લ્ડ કપ ભારતને જિતાડી નહોતો શક્યો અને ટીમને આ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં કડવી હારનો સામનો કરવો પડ્યો હતો.
26 ડિસેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. જેના માટે ઈન્ડિયન ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આ સિરીઝમાં રોહિત શર્માને ટેસ્ટ ફોર્મેટનો વાઈસ કેપ્ટન પણ પસંદ કરાયો છે.
રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ તમામ ખેલાડીઓ અત્યારે ઈજાગ્રસ્ત છે અને રિકવર થઈ રહ્યા હોવાથી BCCIએ આ નિર્ણય લીધો છે. આના સિવાય ચાર ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. જેમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર અને અર્જન નાગવાસવાલાનો સમાવેશ થાય છે.
સ્પિન ડિપાર્ટમેન્ટઃ અશ્વિન અને જયંતની જોડી કમાલ કરશે
જાડેજાની ગેરહાજરીમાં રવિચંદ્રન અશ્વિન અને જયંત યાદવ સ્પિન બોલર્સની જવાબદારી સંભાળશે. આની સાથે જ લેફ્ટઆર્મ સ્પિનર સૌરભ કુમારને પણ આ ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરાયો છે. સૌરભ અત્યારે ઈન્ડિયા-A ટીમ સાથે દક્ષિણ આફ્રિકામાં હાજર છે.
ટેસ્ટ સિરીઝની તારીખ
- પહેલી ટેસ્ટઃ 26થી 30 ડિસેમ્બર, 2021 (સેન્ચુરિયન)
- બીજી ટેસ્ટઃ 3થી 7 જાન્યુઆરી, 2022 (જોહાનિસબર્ગ)
- ત્રીજી ટેસ્ટઃ 11થી 15 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)
વનડે સિરીઝની તારીખ
- પહેલી વનડેઃ 19 જાન્યુઆરી, 2022 (પાર્લ)
- બીજી વનડેઃ 21 જાન્યુઆરી, 2022 (પાર્લ)
- ત્રીજી વનડેઃ 23 જાન્યુઆરી, 2022 (કેપ ટાઉન)