પાકિસ્તાન(Pakistan)ની સાન આવી ઠેકાણેઃ ભારતમાંથી કપાસ-યાર્ન, વ્હાઇટ શુગરની આયાત કરવાનો નિર્ણય કર્યો; વેપાર પરથી પ્રતિબંધ હટાવ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ
નવી દિલ્હી, 02 એપ્રિલઃ તાજેતરમાં જ પાકિસ્તાન(Pakistan)ના વાણિજ્ય મંત્રાલય દ્વારા યોજવામાં આવેલી એક બેઠકમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી.પાકિસ્તાનના કેબિનેટની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC)ની આજે બેઠક યોજાઈ હતી, જેમાં ભારત-પાકિસ્તાન વેપારને ફરી શરૂ કરવાના પ્રયત્નના ભાગરૂપે કપાસ તથા યાર્નની આયાત કરવા અંગે નિર્ણય લીધો હતો.
પાકિસ્તાન(Pakistan)ના નાણામંત્રી હામદ અઝહરે જણાવ્યું હતું કે ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીએ ભારતમાંથી 0.5 મિલિયન ટન વ્હાઈટ શુગરની આયાત કરવા ખાનગી સેક્ટરને મંજૂરી આપી છે. આ ઉપરાંત અઝહરે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષના જૂન મહિનાથી ભારતમાંથી કપાસની આયાત કરવા પણ પરવાનગી આપવામાં આવશે. આ સમિતિએ વાણિજ્ય મંત્રાલય સમક્ષ બે બાબતોની રજૂઆત કરતાં ભારતમાંથી કપાસ તથા કોટન યાન, અને વ્હાઈટ શુગરની આયાત પરના પ્રતિબંધને ઉઠાવી લેવા ભલામણ કરી હતી.પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન થયું છે અને એને લીધે સ્થાનિક કાપડ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સંજોગોમાં ભારતમાંથી કપાસની આયાત કરવી એ હવે તેની મજબૂરી બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવામાં આવ્યો અને ઓગસ્ટ,2019માં તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના ભારતના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે મે,2020માં પાકિસ્તાને કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી દવાઓ અને કાચામાલની આયાત કરવાની મંજૂરી આપી હતી. ભારતમાંથી કપાસ તથા કોટન યાનની આયાત કરવાના પાકિસ્તાન સરકારના પગલાને કાપડ ઉદ્યોગો આવકાર્યું છે. પાકિસ્તાન ટેક્સટાઈલ એક્સપોર્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ ખુર્રમ મુખ્તારે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારતમાંથી કપાસ, યાર્ન અને ગ્રે કાપડની આયાત થવાથી માંગ અને પુરવઠાની સ્થિતિ વચ્ચે જે ખાઈ સર્જાઈ છે તે ભરપાઈ કરી શકાશે.
આ પણ વાંચો…