Wounds in life: કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે: ચૌધરી રશ્મિકા “રસુ “
શીર્ષક ☛ ઘાવ (Wounds in life)
Wounds in life: જીવન કુદરતે આપેલી એક સુંદર ભેટ છે. આ જીવન જેટલું આપણે સહેલું માનીએ છીએ તેટલું એ સહેલું હોતું નથી. જીવનમાં દરેકને મુશ્કેલીઓ માંથી પસાર થવું જ પડે છે. આ જીવનના પંથમાં વ્યક્તિને કેટલાય ઘાવ થતાં હોય છે . ક્યારેક આ ઘાવ જલ્દી ભરાઈ જાય છે તો ક્યારેક ઘણો સમય લાગે છે. લોકો કહેતાં હોય છે કે સમય એવી દવા છે કે કેવો પણ જખમ થયો હોય એ મટી જ જાય છે. શું આ વાત ખરેખર સાચી છે?
દરેક વ્યક્તિના જવાબ પોતાના અનુભવનાં આધારે જુદા-જુદા હશે . કેટલીક એવી પીડા હોય છે કે તમે લાખ એની દવા કરો તો પણ એ ઘાવ તાજો રહે છે. શરીર પર થયેલાં ઘાવની દવા તો વ્યક્તિ કરી શકે છે પણ આત્મા, મન પર થયેલાં ઘાવની દવા ક્યાં મેડિકલ સ્ટોર કે દવાખાને મળે છે. એ કોઈ જાણતું નથી . જાણીતાં કવિયત્રી પારુલ ખખ્ખર એમની પંક્તિ છે. કરી જોઈ દવા નવલખ છતાંયે ઘાવ તાજો છે.
મન પર જે ઘાવ એકવાર થઈ જાય ત્યારે નવલખ દવા કરાવો તો પણ એ ઘાવ હંમેશા તાજો જ રહે છે. જે હંમેશા પીડા જ આપતો હોય છે. જેમ-જેમ એની દવા કરાવી એ તો પણ વ્યક્તિને એવું જ લાગે (Wounds in life) આ ઘાવ મને હમણાં જ થયો છે. સમય એનાં વેગ સાથે ચાલતો રહે , વિતેલો સમય ભૂતકાળ થઈ જાય તો પણ એ દર્દ આપણાં વર્તમાન ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી લે છે અને પીડા આપે છે. દુનિયાની કોઈ વ્યક્તિ એવી નહીં હોય, જેને પોતાના ઘાવની દવા ન જોઈતી હોય . કયારેક માણસ પોતાનાંથી જ હારી જાય છે.
પોતાના દર્દની દવા માટે એ ઠેર ઠેર ફરતો ફરે છે પણ એ પણ જાણતો હોય છે કે કેટલાં ઘાવ એવાં હોય છે જેની કોઈ દવા નથી હોતી. આપણાં મન પર ઘાવ એ જ વ્યક્તિ કરી શકે જેનાંથી આપણે લાગણીથી જોડાયા હોય . લાગણીનાં સંબંધનું કોઈ બજાર નથી હોતું એટલે એનાંથી જે ઘાવ થાય તેની દવા પણ મળતી જ નથી.