Bundelkhand: બુંદેલખંડમાં હોનારતના કારણે ખેડૂતો તબાહ, 15 અબજની ખેતી સડી ગઈ- વાંચો વિગત
Bundelkhand: બુંદેલખંડ વિસ્તારમાં યમુના, બેતવા અને કેન નદીઓ સહિતની તમામ નદીઓમાં આવેલા ભીષણ પૂર અને ભારે વરસાદના કારણે ખરીફ પાક બરબાદ થયો
નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ Bundelkhand: ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં યમુના, બેતવા અને કેન નદીઓ સહિતની તમામ નદીઓમાં આવેલા ભીષણ પૂર અને ભારે વરસાદના કારણે ખરીફ પાક બરબાદ થઈ ગયો છે. આ કારણે ખેડૂતોને 15 અબજ રૂપિયાનું નુકસાન થયું છે અને દુષ્કાળથી ત્રસ્ત રહેતો બુંદેલખંડ પ્રદેશ હવે પાણી-પાણી થઈ ગયો છે.
લાખો હેક્ટરમાં ફેલાયેલો પાક પૂર અને વરસાદના કારણે તબાહ થઈ ગયો છે. ખેતરોમાં અનેક ફૂટ ઉંચા પાણી ભરાયા હોવાથી પાક ઉભો-ઉભો સડી ગયો છે અને ખેડૂતો ફરી એક વખત ભૂખમરાની સ્થિતિમાં આવી ગયા છે. આ વખતે ફક્ત હમીરપુર જિલ્લામાં જ 1.9 લાખ હેક્ટર જમીન પર ખરીફ પાકનું વાવેતર થયું હતું. મગ, અડદ, મસૂર ઉપરાંત તેલીબિયાના પાકોમાં તલ, મગફળી વગેરેનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું.
અમુક પાકની તો કાપણીનો સમય આવી ગયો હતો અને કુદરતી પ્રકોપના કારણે ઉભો પાક ખેતરમાં સડી ગયો. અત્યાર સુધીમાં 70 ટકા કરતા વધારે પાક નષ્ટ થઈ ગયો છે. બુંદેલખંડના તમામ સાતેય જિલ્લા મહોબા, બાંદા, ચિત્રકૂટ, જાલૌન, ઝાંસી, લલિતપુર અને હમીરપુરની આ જ સ્થિતિ છે.
હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીમાં પૂર અને વરસાદના કારણે એવી સ્થિતિ સર્જાઈ છે કે, અન્નદાતા પોતે દાણા-દાણા માટે તડપી રહ્યો છે. વરસાદ અને પૂરના કારણે અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. 1,000 કરતા પણ વધારે ગામોનો પાક બરબાદ થઈ ગયો છે અને કૃષિ અધિકારી દ્વારા નુકસાનીનો સર્વે કરાવાઈ રહ્યો છે.