India Corona Update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા
નવી દિલ્હી, 21 માર્ચઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના(India Corona Update)ના નવા 43,846 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 197 લોકોએ એક જ દિવસમાં જીવ ગુમાવ્યા છે. જે ગતિથી કોરોના કહેર મચાવી રહ્યો છે તે જોતા સ્થિતિ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,15,99,130 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,09,087 લોકો હજુ પણ સારવાર હેઠળ છે અને 1,15,99,130 લોકો રિકવર થયા છે. એક જ દિવસમાં કોરોનાએ 197 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,59,755 પર પહોંચી ગયો છે. આ બાજુ રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધી 4,46,03,841 લોકોને રસી આપવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારના પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. ગઈકાલે રાજ્યભરમાં 1564 કોરોનાના કેસો(India Corona Update) નોંધાયા, 6 લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે 969 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ કહી ચૂક્યા છે. તો સુરતમાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ જોવા નથી મળી રહ્યાં છે. તાવ-શરદી, માથુ દુખવાના કોઈ લક્ષણો દર્દીઓમાં દેખાઈ નથી રહ્યાં. આવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થયો છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે ફરી દેશની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 27 હજાર 126 કેસ સામે આવ્યા છે. તો 13 હજાર 588 લોકો સાજા થયા છે અને 92 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસને કારણે ઘણા જિલ્લામાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ આકરા પ્રતિબંધો લાગૂ છે.
આ પણ વાંચો….
ચિંતાની વાતઃ રાજ્યના કેસમાં વધારો યથાવત, સાથે રિકવરી રેટ(Recovery rate)માં ઘટાડો