કૃષિ આંદોલનઃ સુપ્રીમ કોર્ટ સરકારના વલણથી નારાજ, કહ્યું- કોઇપણ આ રીતે કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે!
નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ છેલ્લા કેટલાય વખતથી ખેડૂતો કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહ્યાં છે. આ અંગે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે અનેક બેઠકો પણ યોજવામાં આવી છે. પરંતુ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. સરકારની તરફથી અદાલતમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે કોઈપણ કાયદા પર પ્રતિબંધ ના લગાવી શકે, આ મામલે અદાલતે જણાવ્યું કે અમે સરકારના આ વલણથી ખૂબ નારાજ છીએ, અને અમે આ કાયદાને રોકવાની તૈયારીમાં છીએ. હવે ખેડુતો તેમની સમસ્યાઓ સમિતિ સમક્ષ જણાશે. સુપ્રીમ હવે મહત્વના પગલાં લેશે.
સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લગતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ ગઇ છે. સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોમાં તાજેતરમાં મુલાકાત થઇ હતી, જેમાં નક્કી થયુ હતું કે ચર્ચા ચાલુ રહેશે.જો કે ચીફ જસ્ટિસે તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે જે રીતે સરકાર આ મામલો સંભાળી રહી છે, તેનાથી અમે નાખુશ છીએ. અમે નથી જાણતા કે તમે કાયદો પાસ કરવા માટે પહેલા શું કર્યુ. ગત સુનાવણીમાં પણ વાતચીત વિશે કહેવામાં આવ્યું, શું થઇ રહ્યું છે?
ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ સરકારને કહ્યું કે, જે રીતે પ્રક્રિયા ચાલી રહી છે, તેનાથી અમે નિરાશ છીએ. અમને નથી ખબર કે સરકારની ખેડૂતો સાથે શું વાતચીત ચાલી રહી છે. સાથે જ પૂછ્યું કે, શું કૃષિ કાયદાને થોડોક સમય માટે અટકાવી શકાય છે? ચીફ જસ્ટિસે કહ્યું કે, અમુક લોકો આપઘાત કરી ચૂક્યાં છે. વૃદ્ધ અને મહિલાઓ આંદોલનમાં સામેલ છે. આ બધું ચાલી શું રહ્યું છે? કૃષિ કાયદાને સારો ગણાવતી એક પણ અરજી આવી નથી.
જો કઈ ખોટું થશે તો આપણે બધા જવાબદાર હશું. અમે નથી ઈચ્છતા કે કોઈ પણ પ્રકારના રમખાણનું કલંક અમારી પર લાગે. કેન્દ્ર સરકારે પુરી જવાબદારી લેવી જોઈએ. તમે કાયદો લાવી રહ્યા છો, એટલા માટે તમે જ સારી રીતે સમજી શકો છો. સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ કાયદા પર પ્રતિબંધ ન લગાવી શકે. કોર્ટ કોઈ કાયદા પર ત્યાં સુધી રોક ન લગાવી શકે, જ્યા સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે કાયદો નિયમોને બાજુમાં રાખીને લાગૂ કરાયો છે અને એનાથી લોકોના અધિકારનું હનન થાય છે.