પાછીપાની નહીં કરીએ, સરકાર કોઇ વિકલ્પ આપે તો તેને પણ નહીં સ્વિકારીએઃ ખેડૂત નેતાઓ
નવી દિલ્હી, 05 જાન્યુઆરીઃ છેલ્લા દોઢ મહિનાથીકરી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર સુરક્ષા આપવાની ખેડૂતોની માગણીને સરકારે આઠમા રાઉન્ડની વાતચીતમાં પણ નથી સ્વીકારી. સરકાર અને ખેડૂતો વચ્ચે યોજાયેલી આઠમા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ રહી છે તેથી હવે નવમા રાઉન્ડની વાતચીત આગામી આઠમી તારીખે યોજાશે.
અત્યાર સુધીમાં આંદોલન સાથે સંકળાયેલા 55 જેટલા ખેડૂતોએ જીવ ગુમાવ્યો છે, જેમને સરકાર સાથેની બેઠકમાં મૌન પાળીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. બેઠકમાં સામેલ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે વાતચીતના પ્રથમ એક કલાક દરમિયાન કૃષિ કાયદાઓને પરત લેવા પર જ અમે ચર્ચા કરી હતી. અમારી જે માગણી છે તેની સાથે કોઇ જ પાછીપાની નહીં કરીએ, સરકાર કોઇ વિકલ્પ આપે તો તેને પણ નહીં સ્વિકારીએ.
ખેડૂતો સાથેની બેઠકમાં સરકાર વતી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે-કોમર્સ મંત્રી પિયુષ ગોયલ, રાજ્યકક્ષાના કોમર્સ મંત્રી સોમ પ્રકાશ જોડાયા હતા. જ્યારે ખેડૂતો વતી 40 સંગઠનોના પ્રતિનિધ સામેલ થયા હતા. વાતચીત પૂર્ણ થયા બાદ ભારતીય કિસાન યુનિયનના નેતા યુધવિરસિંહે કહ્યું હતું કે મંત્રીઓ અમારી સાથે કાયદાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતા હતા જેને અમે નકારી દીધી, અમે સ્પષ્ટ શબ્દોમાં સરકારને કહ્યું છે કે કાયદાના કોઇ જ મુદ્દા પર ચર્ચા નહીં કરવામાં આવે. અમારી સ્પષ્ટ માગણી છે કે કાયદા પરત લેવામાં આવે. સરકાર ગમે તેમ કરીને કાયદામાં સુધારા તરફ ખેડૂતોને લઇ જવા માગે છે જેને અમે નહીં સ્વીકારીએ.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક બેઠકો થઇ છે. પરંતુ કોઇ જ ઉકેલ આવ્યો નથી. તે સાથે 55 જેટલા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો…
AMC ચૂંટણીની 10 થી 15 દિવસમાં થશે જાહેરાતઃ ભાજપ-કોગ્રેસ સહિત આપ અને ઔવૈસીએ ચુંટણીની તૈયારી શરુ કરી