વિશ્વનું સૌથી મોટું રસીકરણઃ દેશના 13 રાજ્યોમાં પહોંચી, 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરુ- વાંચો સંપૂર્ણ અહેવાલ
નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ કોરોનાની મહામારી બાદ જ્યારે વિશ્વના તમામ દેશો રસીની શોધ કરી રહ્યાં છે. ત્યાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન મંગળવારથી શરૂ થઈ ગયું. કડક સલામતી વ્યવસ્થા સાથે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટયૂટમાંથી હવાઈ માર્ગે દેશના ૧૩ શહેરોમાં રસીના ૫૫ લાખ ડોઝ પહોંચાડી દેવામાં આવ્યા છે. ભારતની સૌપ્રથમ સ્વદેશી રસી કોવેક્સિનના ૫૬ લાખ ડોઝ પણ સરકાર મંગળવારે સાંજે મેળવી રહી છે. દેશમાં ૧૬મી જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવાનું શરૂ થશે. ડીસીજીઆઈએ કોરોનાની બે રસીઓને ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપી છે. જોકે, હાલ લોકોને કઈ રસી લેવી તેનો વિકલ્પ આપવામાં નહીં આવે. ૨૮ દિવસના અંતરે રસીના બે ડોઝ અપાશે અને તે ૧૪ દિવસે અસરકારક બનશે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
પૂણે ખાતે સીરમ ઈન્સ્ટિટયૂટની ફેક્ટરીમાંથી વહેલી સવારે ૫.૦૦ વાગ્યે રસીના ડોઝ લઈને ત્રણ ટ્રકો નીકળી તે પહેલાં ‘પૂજા’ કરવામાં આવી હતી. સખત સલામતી બંદોબસ્ત વચ્ચે આ ટ્રકો પૂણે એરપોર્ટ પહોંચી, જ્યાંથી હવાઈ માર્ગે દેશના ૧૩ શહેરોમાં સીરમની કોવિશિલ્ડ રસી પહોંચાડવામાં આવી હતી. કોવિશિલ્ડના ૨.૬૪ લાખ ડોઝની પહેલી ખેપ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં દિલ્હી પહોંચી હતી અને ત્યાર પછી આ રસીઓને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સેન્ટ્રલ સ્ટોરેજમાં લઈ જવાઈ હતી. સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું હતું કે અમારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. ફેબુ્રઆરી સુધીમાં પાંચથી છ કરોડ ડોઝ પૂરા પાડવાની તેમની યોજના છે.
સીરમ ઈન્સ્ટિટયૂટમાંથી રસીની બીજી ખેપ મુંબઈ જવા રવાના થઈ હતી, જ્યાંથી બુધવાર સુધીમાં દેશના ૨૭ સ્થળો પર રસી મોકલાશે. અગાઉ રસીકરણ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરતાં નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પૂરીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે ચાર એરલાઈનની નવ ફ્લાઈટ્સમાં ૫૬.૫ લાખ ડોઝ પૂણેથી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, બેંગ્લુરુ, લખનઉ અને ચંડીગઢ પહોંચાડવામાં આવી હતી. રસીનો વિવિધ રાજ્યોમાં પહોંચાડતા પહેલાં એરપોર્ટ પર પણ પ્રાર્થના કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિટયૂટ પાસે ૧.૧૦ કરોડ ડોઝ ખરીદવાનો કરાર કર્યો છે ત્યારે કંપનીએ પહેલાં દિવસે ૫૫ લાખ ડોઝનો ઓર્ડર પૂરો કર્યો હતો. આગામી બે દિવસમાં બાકીના ૫૬ લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે. ભારત બાયોટેક પણ દેશની સૌપ્રથમ સ્વદેશી રસી કોવેક્સિનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર મંગળવારે સાંજે પૂરો કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, કોરોનાની રસીના બે ડોઝ ૨૮ દિવસના અંતર વચ્ચે અપાશે અને બીજો ડોઝ મેળવ્યાના ૧૪ દિવસ પછી તેની અસરકારકતા શરૂ થશે. તેથી રસી લીધા પછી પણ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે.
સ્વાસ્થ્ય સચિવ ભૂષણે જણાવ્યું હતું કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેક ઉપરાંત ઝાયડસ કેડિલા, સ્પુતનિક-૫, બાયોલોજિકલ ઈ અને જીનોવા જેવી અન્ય રસીઓ પણ ક્લિનિકલ ટ્રાયલના એડવાન્સ તબક્કામાં છે. આગામી દિવસોમાં આ રસીઓને પણ ઈમર્જન્સી વપરાશની મંજૂરી આપવામાં આવી શકે છે. સમગ્ર વિશ્વમાં રસીઓના ભાવના સંદર્ભમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે, ‘ફાઈઝર-બાયોએનટેક દ્વારા વિકસાવાયેલી રસીના પ્રત્યેક ડોઝની કિંમત રૂ. ૧,૪૩૧ છે જ્યારે મોડર્નાના ડોઝની કિંમત રૂ. ૨,૩૪૮થી રૂ. ૨,૭૧૫ છે. ચીનની સિનોવાકની કિંમત રૂ. ૧,૦૨૭, નોવાવેક્સની રૂ. ૧,૧૧૪, સ્પુતનિક-૫ની કિંમત રૂ. ૭૩૪થી ઓછી છે જ્યારે જોન્સન એન્ડ જોન્સને વિકસાવેલી રસીની કિંમત રૂ. ૭૩૪ છે.’
આ પણ વાંચો…
વાસ્તુ શાસ્ત્રઃ મકરસંક્રાતિ પહેલા ઘરમાંથી આ વસ્તુઓ કરો દૂર, થઇ શકે છે નુકસાન