2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.
2nd Navratri-23: બીજું નોરતું અને નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાનાં કારણે અદભુત તેજ તથા કાંતિનાં દર્શન થાય છે. આ તેજ ત્રણેય લોકમાં વ્યાપેલું છે. દેવી સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ અને તપસ્યાનું મૂર્તિમાન સ્વરૂપ છે.
वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।
जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥
બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ છે.
એમની કથા પણ ખૂબ રસપ્રદ અને જાણવા જેવી છે. પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયનાં ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીનાં ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિનાં રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીનાં નામથી ઓળખવામાં આવે છે.
એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતાં. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લાં આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શિવની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનું નામ ‘અપર્ણા’ પડી ગયું.
કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યાને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયાં હતાં. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે ખૂબ વિલાપ કર્યો ત્યારથી દેવી બ્રહ્મચારિણીનાં પૂર્વ જન્મનું એક નામ ‘ઉમા’ પણ પડી ગયું હતું. તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનું પુણ્ય કૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.
છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું હતું કે “હે દેવી ! આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે. તમારી મનોકામનાં જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિનાં રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.”
મા બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનમાં આવતા સંધર્ષો દરમિયાન પણ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ અને મા ની કૃપાથી બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
મા બ્રહ્મચારિણીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!
या देवी सर्वभूतेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||