Dola mata mandir: ગુજરાતનું એક એવુ મંદિર, જ્યાં લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા- ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં
Dola mata mandir: એવું કહેવામાં આવે છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે
ઝુલાસણ, 23 મેઃDola mata mandir: દેશમાં અનેક એવાં મંદિરો આવેલાં છે, જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા ધરાવતાં હોય છે. એવું જ એક મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે.
એવું કહેવામાં આવે છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.મહેસાણાથી 40 કિલોમીટર દૂર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસતિ ધરાવે છે, જેમાં ઘરદીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ દાંલા માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે.
આ ઉપરાંત આ મંદિર કોમી એખલાસનું પર્ફેક્ટ પ્રતીક છે. મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દુ મુસ્લિમના અસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.
મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં 7 હજાર જેટલી વસતિ છે, જેમાં 3 હજારથી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે. આ મંદિરમાં 70થી 80 ટકા લોકો પોતાના વિઝાની માનતા લઈને આવતા હોય છે. શ્રદ્ધાળુઓનાં 90 ટકા કામ થઈ જાય છે. ગુજરાત નહીં, પરંતુ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના લોકો પણ વિઝાની બાધા રાખવા આવતા હોય છે.