Dhanvantari Teras: આજે જાણીશું ધન્વંતરિ તેરસ વિશે..

“મણકો 03-ધન્વંતરિ તેરસ”(Dhanvantari Teras)

(વિશેષ નોંધ: Dhanvantari Teras: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ ત્રીજો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધી આવતાં અલગ-અલગ પર્વ વિશે રોજ શક્ય એટલી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. પહેલાં મણકામાં રમા એકાદશીની અને બીજા મણકામાં વાક્ બારસની વાત કરી અને હવે ત્રીજા મણકામાં ધન્વંતરિ તેરસ વિશે જાણીશું. મણકો ૩ – ધન્વંતરિ તેરસ.)

ગઈ કાલથી આસપાસ જ્યાં જુવો ત્યાં બધા જ શુભ મુહૂર્ત ગોતવામાં પડી ગયા છે જેથી આજે સાંજે ધન તેરસ પર યોગ્ય મુહૂર્તમાં ધનની પૂજા થઇ શકે. જો તમે પણ આજ કરવાનું ધારી રહ્યા છો તો એક ક્ષણ અટકી જાઓ. આજનો દિવસ ધનની પૂજા કરવાનો નહિ પણ ધન્વંતરિ દેવની પૂજા કરવાનો દિવસ છે.

આપણા ઋષિ મુનિઓ બહુ ઊંડા વિચારક અને તત્વચિંતક હતા. પર્યાવરણ અને એનું વિજ્ઞાન ખૂબ સારી રીતે સમજતાં હતાં અને ધર્મ તથા આપણા રીત-રિવાજોને પણ બહુ સમજી વિચારીને જોડ્યા હતાં. એ સિવાય પણ જીવનમાં કોનું મહત્વ ક્યારે અને કેટલું આપવું એનો ક્રમ પણ સમજાવેલો પણ સમય રહેતાં પશ્ચિમી સંસ્કૃતિ અને અન્ય વિદેશી જાતિઓનાં આક્રમણને પગલે આધુનિકરણ થતાં આપણી ઘણી ખરી અગત્યની માહિતીઓ લુપ્ત થતી ગઈ.

દિવાળીનાં આ સપ્તરંગી પર્વનું મહત્વ સમજીયે અને એની પાછળ રહેલો તર્ક પણ સમજીયે તો ખ્યાલ આવે કે કેટલી સમજદારી હતી એને ક્રમ વાર ગોઠવવાં પાછળ. સૌથી પહેલા રમા એકાદશી પર નારાયણનું ધ્યાન ધરી, એમના આશીર્વાદ મેળવી, ગઈ કાલે વાક્ બારસ પર સૌથી પહેલા જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાનો મહિમા છે. કેમ કે જ્ઞાન છે તો બધું જ છે. અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરવા માટે જ્ઞાનરૂપી દીવો મા સરસ્વતીની કૃપાથી જ પ્રગટી શકે.

અને એ પછી હજી પણ જો આપણે એમ સમજતા હોઈએ કે હવે વારો લક્ષ્મી પૂજનનો છે તો ના ! ‘હેલ્થ ઇઝ વેલ્થ’ વાક્ય બધાને ખબર જ છે પણ કેટલાં એમ ખરેખર માને છે અને સમજે છે એ અલગ વાત છે. ખરેખર તો સાચી સંપત્તિ એ આપણું સ્વસ્થ આરોગ્ય છે. મેં ઘણી વાર જોયું છે કે વખત આવ્યે ગમે તેટલો ધનવાન માણસ પણ પોતાનું આયુષ્ય નથી બચાવી શકતો પછી ભલે ગમે તેટલાં પૈસા ખર્ચવાની એની તૈયારી હોય. અને માટે જ મા લક્ષ્મીની પૂજા કરતાં પહેલાં આપણા આરોગ્યનાં દેવ ધન્વંતરિ દેવની પૂજા કરવાનું વિધાન છે.

Internet in Flight: જોરદાર…! હવે હવાઈ મુસાફરી દરમિયાન પણ કરી શકાશે ઇન્ટરનેટનો ઉપયોગ, વાંચો વિગતે

એટલે હકીકતમાં તો આજે ધન્વંતરિ તેરસ છે. યુગો પર્યન્ત આ દિવસ આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્રનાં પ્રવર્તક ભગવાન ધન્વંતરિની જયંતિ તરીકે ઉજવવામાં આવતો. સમય જતાં મુગલોનાં શાસનકાળ દરમ્યાન એમનાં હકીમોનાં વર્ચસ્વનાં કારણે એમની ચિકિત્સા પધ્ધતિનો પ્રચાર વધતો ગયો અને એ પછી પણ ખાસ અંગ્રેજોનાં શાસન દરમ્યાન એલોપથીનું વર્ચસ્વ સર્વોપરી થયું અને આપણું આયુર્વેદ ભુલાતું ગયું.

આમ છતાં ઘણા વર્ષો સુધી આ દિવસ દક્ષિણ ભારતમાં અને ઉત્તરનાં કેટલાક પ્રદેશમાં ધન્વંતરિ જયંતિ તરીકે ઉજવાતો રહ્યો છે અને હજી પણ આયુર્વેદમાં રુચિ ધરાવનારાઓ, આયુર્વેદ શીખવનારા કે શીખનારાઓ તેમ જ વૈદ્ય અને ચિકિત્સકો આ તેરસનાં દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા-અર્ચના કરે છે અને લોકોને દીર્ધાયુ બનાવવા તેમ જ નિરોગી બનાવવા પ્રાર્થના કરે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાં ૧૪ રત્નો ઉત્પન્ન થયાં હતાં. એ હતાં હળાહળ ઝેર, કામઘેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, અર્ધચન્દ્ર, હાલા નામની સૂરા, ધનુષ્ય, શંખ અને છેલ્લે અમૃત કળશ ધારણ કરેલા ભગવાન ધન્વંતરિ ! આ ભગવાન ધન્વંતરિએ વિશ્વનાં મનુષ્યોને શારીરીક અને માનસિક રોગોથી મુક્તિ અપાવવા આયુર્વેદનો પ્રચાર અને પ્રસાર કર્યો. આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ સ્વસ્થ વ્યક્તિનાં રક્ષણ અને રોગીઓની રોગમાંથી કાયમી ધોરણે મુક્તિ અપાવવાનો છે.

વર્ષો જતાં આ ભુલાતું ગયું અને ધનતેરસનાં નામ સાથે ધનની પૂજા જોડી દઈ આજનાં દિવસે કોઈ ભગવાન ધન્વંતરિ કે આયુર્વેદને યાદ નથી કરતું. આપણે બધાએ જ કદાચ પૈસા કે સંપત્તિ પાછળ એટલી આંધળી દોટ મૂકી છે કે સ્વાસ્થ્ય કરતાં પણ સંપત્તિને વધુ મહત્ત્વ આપવા લાગ્યા છીએ. અને માટે જ ધનતેરસને ધનલક્ષ્મીનો દિવસ ગણીને આજનાં દિવસે લક્ષ્મીની પૂજા કરતાં થઇ ગયાં.

હકીકતમાં તો આજનો દિવસ સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિનાં નામે ઉજવાવો જોઈએ. આજે આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરી અને આપણા સહુનાં લાંબા નહિ તો કમસેકમ જેટલું પણ આયુષ્ય હોય એટલું સ્વસ્થ હોય એ માટેની પ્રાર્થના કરવાનો દિવસ છે.

એ સિવાય બીજી એક મહત્વની વાત પણ આજનાં દિવસ સાથે જોડાયેલી છે જે બહુ પ્રચલિત નથી. દીવો ભલે દિવાળીનાં પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ અન્ય એક પૌરાણિક માન્યતાં અનુસાર દીવાની હારમાળા સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો એકમાત્ર તહેવાર ધનતેરસ છે.

સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે ‘હું તને મનુષ્યોનાં પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો ?’ યમદુતે ઉત્તર આપ્યો કે ‘એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નનાં ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલા’. યમરાજે ત્યારે વરદાન આપેલું કે ધનતેરસને દિવસે જે મનુષ્ય દીવડાઓ પ્રગટાવશે તેનો જીવનદીપ એ દિવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાળા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

આખા વર્ષમાં એકમાત્ર આ જ એ દિવસ છે, જ્યારે મૃત્યુનાં દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ પૂજા રાત્રે કરવામાં આવે છે. યમ માટે લોટનો દીવો બનાવી ઘરનાં મુખ્ય દ્વાર પર મૂકવામાં આવે છે. આ દીવાને યમનો દીવો કહેવામાં આવે છે. તેની દીવેટ દક્ષિણ દિશા તરફ રાખવામાં આવે છે. નાડાછડી, જળ, ફૂલ, ચોખા, ગોળ, નૈવેધ વગેરેથી સ્ત્રીઓ યમનાં આ દીવાની પૂજા કરે છે. આ દીવો મૃત્યુનાં દેવ યમરાજ માટે કરવામાં આવતો હોવાથી, દીવો કરતી વખતે શ્રદ્ધાથી નમન કરી પ્રાર્થના કરવામાં આવે છે કે, ઘરનાં સભ્યો પર કૃપાદ્રષ્ટિ રાખે અને કોઇનું અકાળે મૃત્યુ ન થાય.

આજનાં સમયમાં ચારેકોર ધન, વૈભવ, કે પ્રતિષ્ઠાનું જ વર્ચસ્વ દેખાય છે એવામાં કદાચ વર્ષોથી ચાલતી આવતી પરંપરા કે જેમાં ધનતેરસ પર સોનુ-ચાંદી ખરીદવું કે લક્ષ્મી પૂજન કરવું કે વ્યાપારીઓ માટે ચોપડા પૂજન કરવું એક અભિન્ન અંગ બની ગયું છે.

મને નથી ખબર કે આ વાત કેટલાં લોકો સુધી પહોંચશે અને આવનારાં વર્ષો સુધી કદાચ આજ પ્રથા યથાવત પણ રહેશે. એ છતાંય એક નમ્ર વિનંતી જરૂર કરીશ કે ભલે આજે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર જેમ મા લક્ષ્મીની પૂજા કરો છો એમ ભલે કરો પણ એ પહેલાં એક વાર ધન્વંતરિ દેવની પૂજા જરૂરથી કરજો, ખાસ આપના અને આપના પરિવારનાં સ્વસ્થ આરોગ્ય માટે.

હું હંમેશા એવું માનું છું કે તમારા આરાધ્ય કે ઇષ્ટદેવ કે અન્ય કોઈ પણ દેવી દેવતાને પૂજવા હોય તો દરેક ક્ષણ કે દરેક દિવસ શુભ જ છે અને દેવ-દેવીની આરાધના તો ગમે ત્યારે થઇ શકે. એ કોઈ એક દિવસનાં મોહતાજ ન જ હોઈ શકે પણ જો મારી જેમ તમે પણ માનતા હો કે સાચું સુખ કે સાચી સંપત્તિ એ આપણું આરોગ્ય છે તો મા લક્ષ્મીની પૂજા કરતાં પહેલાં એક વાર આજે આરોગ્યનાં દેવ એટલે કે ધન્વંતરિ દેવની આરાધના જરૂરથી કરજો.

આરોગ્ય સ્વસ્થ હશે તો પરિશ્રમ કરીને લક્ષ્મીને પ્રાપ્ત કરી શકશો. અને જો આરોગ્ય જળવાશે તો જ પ્રાપ્ત કરેલી લક્ષ્મીનું સુખ પણ માણી શકશો અને લક્ષ્મી થકી પ્રાપ્ત કરેલી સુખ સગવડો ભોગવી શકશો. અન્યથા ગમે તેટલાં ધન વૈભવમાં આળોટતા હશો પણ એને વખત આવ્યે માણી નહિ શકો કે ન તો એ ધનથી તમારું આયુષ્ય બચાવી શકશો.

આશા રાખું કે આપ સહુનાં ઘરે પરિશ્રમ થકી લાવેલી લક્ષ્મીનો વાસ થાય, સંતોષ એ જ સાચું ધનની અનુભૂતિ થાય અને એ પરિશ્રમ કરવા માટે ધન્વંતરિ દેવ આપ સહુનું અને આપનાં પરિવારનું આરોગ્ય સ્વસ્થ રાખે એવી મારાં તરફથી શુભેચ્છાઓ.

આપણે પણ આપણી જાત સાચવવા માટે કટિબધ્ધ થઈએ કેમ કે ‘પહેલું સુખ તે જાતે નર્યા..!!’ વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *