જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલય સંતો-મહંત દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ જાન્યુઆરી: જામનગર જામનગર જિલ્લામાં અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલાં શ્રીરામ જન્મ ભૂમિ મંદિર માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના નેજા હેઠળ સમગ્ર વિશ્ર્વભરમાં દરેક લોકોને રામ નામથી રાષ્ટ્ર નિર્માણના હેતુથી જોડવા માટે આયોજન કરાયું છે. ખાસ નાનામાં નાના વ્યકિત રામ મંદિર સાથે આસ્થાભેર જોડાઇ તે હેતુથી યથાશકિત નિધી એકત્ર કરવાનું આયોજન કરાયું છે. ત્યારે આ અભિયાન માટે જામનગર જિલ્લામાં આજથી જામનગરની મધ્યમાં આવેલા દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયનું સંતો-મહંતોના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર શહેર અને જિલ્લાભરમાંથી શ્રેષ્ઠીઓ અને ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અયોધ્યામાં ભગવાન રામના જન્મ સ્થળે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. તાજેતરમાં જ રામ જન્મભૂમિ મંદિરનું શિલાન્યાસ પણ થઇ ચુકયું છે. ત્યારે શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણનો પણ પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે સમગ્ર વિશ્ર્વભરમાં આનંદ, ઉત્સાહ, હર્ષોલ્લાસની લાગણી ફેલાઇ છે. લોકો પોતાના દ્વારા પણ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પોતાનું યોગદાન હોય તે માટે યથાશકિત ફાળો આપવા આતુર છે. ત્યારે, સમગ્ર રામભકતોની આસ્થાને મંદિરના નિર્માણ સાથે જોડવા વિશ્ર્વ હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિતની સંસ્થાના નેજા હેઠળ સમર્પણ નિધી એકત્રીકરણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત સમગ્ર દેશભરમાં જિલ્લા કક્ષાએથી લઇને ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત નાનામાં નાના શેરી-મહોલ્લાઓમાં દરેક લોકો સુધી પહોંચવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા જામનગર શહેર અને તમામ ગ્રામ્ય વિસ્તારો માટે જુદી-જુદી 421 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં પાંચ હજારથી પણ વધુ અગ્રણી-કાર્યકરો સમિતિમાં જોડાઇ જિલ્લામાં અંદાજે 1.25 લાખ પરિવારોના 15 લાખથી વધુ લોકો સુધી પહોંચવા આગવું આયોજન કરવામાં આવ્યું છે
શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના અગ્રણી, કાર્યકરો દરેક લોકો સુધી પહોંચી શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે આર્થીક અનુદાન એકત્ર કરશે અને દરેક લોકો રામ નામથી આસ્થાભેર જોડી રાષ્ટ્ર ચેતના જાગૃત કરવા પ્રેરણા પણ આપશે. આગામી તા. 15 જાન્યુઆરી 2021થી 14 ફેબ્રુઆરી 2021 દરમ્યાન એક માસ સુધી શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ દ્વારા જિલ્લામાં છેવાડાના લોકો સુધી પહોંચી દરેક લોકોનો સંપર્ક કરવામાં આવશે અને અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્યાતિભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંગેની માહિતી સભર પત્રિકા, સ્ટીકર સહિતના સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવશે.
લોકોએ તેઓની યથાશકિત અનુસાર શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે આર્થિક ફાળો (સમર્પણ નિધી) એકત્ર કરવામાં આવશે. આ સમર્પણ નિધી માટે ખાસ સમિતિની પહોંચ પણ આપવામાં આવશે. અને લોકોને સમિતિ દ્વારા પોતાના નામનો ઉલ્લેખ કરાવી પોતાનું યોગદાન આપવા અનુરોધ પણ કરાયો છે. ખાસ 51 હજારથી વધુ યોગદાન આપનાર શ્રેષ્ઠીઓને સમિતિ દ્વારા બહુમાન પણ કરવામાં આવશે. અને વધુ યોગદાન આપનાર દાતાઓને 80 (જી) મુજબ ઇન્કમ ટેકસમાંથી પણ ટેકસ મુકિત મળવાને પાત્ર છે. ખાસ મોટી રકમનું અનુદાન આપનાર દાતાઓને સંસ્થાઓ દ્વારા ચેક મારફતે પોતાનું અનુદાન આપી શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે યોગદાન આપવા પણ અનુરોધ કરાયો છે. ખાસ ઓનલાઇન માધ્યમથી દાન આપવા ઇચ્છતા દાતાઓ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે
આજથી જામનગરમાં 57-દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ કાર્યાલયનું ઉદ્દઘાટન શ્રી કૃષ્ણપ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, સ્વામી નારાયણ મંદિર- બેડી ગેઇટના કોઠારી સ્વામીશ્રી ચત્રભુજદાસજી મહારાજ, ખીજડા મંદિરના પૂ.લક્ષ્મણદેવજી મહારાજ સહિતના સંતો-મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયના ઉદ્દઘાટના પ્રસંગે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના અગ્રણી, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ જામનગરથી ઉપસ્થિત રહેલા છોટીકાશી ગણાતા જામનગરમાં આવેલા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્યપીઠ શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના વર્તમાન પીઠધીશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતમાં જ જામનગરમાંથી વિવિધ ધાર્મિક અને પવિત્ર સ્થાનોમાંથી એકત્ર કરાયેલા પવિત્ર જળ અને માટીને બાલાહનુમમાનજી મંદિરેથી શાસ્ત્રોક્ત પૂજન અર્ચન કરી સંતો-મહંતોની ઉપસ્થિતમાં મોકલવામાં આવ્યા હતા. તેવા આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજ સહિતના સંતો-મહંતોએ જ જામનગરમા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના મધ્યસ્થ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે.
જામનગરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિના જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કૃષ્ણપ્રણામી ધર્માંચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે ધર્મપ્રેમી જનતાને પોતાની યથાશકિત શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં યથાશકિત મન મુકીને અનુદાન આપવા આગ્રહ સાથે આહ્વાન કરવામાં આવ્યું હતું. ભગવાન રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર નિર્માણમાં દરેક લોકોનો ફાળો આપી ગૌરવ લેવાની બાબત છે. આ પ્રસંગે સ્વામીનારાયણ સંપ્રદાયના ચત્રભુજ સ્વામી દ્વારા પણ આ સમર્પણ નિધીમાં લોકોને તન-મન અને ધનથી જોડાવવા આહ્વાન કરાયું હતું.
મધ્યસ્થ જિલ્લા કાર્યાલ્યના ઉદ્ઘાટન પ્રસંગે સંતો, મહંતો ઉપરાંત જામનગર જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરીષદના અધ્યક્ષ ભરતભાઇ ફલીયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ અને પ્રાંતના અધિકારી ભરતભાઇ મોદી, અજયસિંહ જાડેજા, નિશાબેન ત્રિવેદી, રમણીકભાઇ શાહ, દિલીપભાઇ આશર, લાખાભાઇ કેશવાલા, ભુપેન્દ્રભાઇ જાની, ધર્મેશભાઇ ગોંડલીયા, રવિરાજસિંહ, વિશાલભાઇ ખખર, સુબ્રહ્મણ્યમભાઇ તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહીનીના ભાઇઓ-બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વ્રજલાલભાઇ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો થયો ભંગ, મહેમાન બનીને પહોંચી વડોદરા પોલીસ