Department of Social Forestry: આશા જગવતો એક અનોખો પ્રયાસ, આખા ફળ જમીનમાં રોપીને નર્સરી ઉછેરવા નો પ્રયાસ હાથ ધર્યો છે
Department of Social Forestry: વૃક્ષ વડોદરામાં સારી એવી સંખ્યામાં હતાં.હવે ખૂબ ઘટી ગયા છે.આમેય, આ વૃક્ષનો સમાવેશ જોખમ હેઠળના વૃક્ષોની યાદીમાં થાય છે એટલે વડોદરાએ ગાયકવાડી સમયના આ બચ્યા ખૂચ્યા વૃક્ષોની કાળજી લેવી જોઈએ.
વડોદરા: ૨૦ જુલાઈ: Department of Social Forestry: વડોદરામાં હયાત રાવણતાડના વૃક્ષો ઘટી રહ્યાં છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગે એના આખે આખા ફળ જમીનમાં રોપીને નર્સરી ઉછેરવા નો પ્રયાસ હાથ ધર્યો છે સીધી સોટી જેવા ઊંચા ઉગતા તાડ વડોદરામાં અને હાલોલ, છોટાઉદેપુર,જાંબુઘોડા ના જંગલ વિસ્તારમાં જોવા મળે છે.એની ટોચ પર કાપો પાડીને મેળવવામાં આવતો નીરો અને એના કોઠે ટાઢક આપતાં ફળ તાડફળી મોટેભાગે સહુને ભાવે છે.
વડોદરામાં સયાજીબાગમાં (Department of Social Forestry) બાબા સાહેબના સ્મારકથી થોડે આગળ અને રાજ મહેલની પાછળ, નવલખી મેદાન છેડે, વિશ્વામિત્રીના કાંઠે તાડ કુળના રાવણતાડ નામક વૃક્ષો આવેલા છે. તાડના ઝાડ પર એક જ ટોચ હોય છે જ્યારે રાવણતાડની ટોચ પર એક થી વધુ ટોચ – ડાળીઓ એ રીતે ઉગે છે કે તેને જોતાં દશ મથાળા રાવણની યાદ આવી જાય.એક સમયે આ વૃક્ષ વડોદરામાં સારી એવી સંખ્યામાં હતાં.હવે ખૂબ ઘટી ગયા છે.આમેય, આ વૃક્ષનો સમાવેશ જોખમ હેઠળના વૃક્ષોની યાદીમાં થાય છે એટલે વડોદરાએ ગાયકવાડી સમયના આ બચ્યા ખૂચ્યા વૃક્ષોની કાળજી લેવી જોઈએ.
નિરાશાના આ વાતાવરણમાં સામાજિક વનીકરણ વિભાગ, વડોદરાએ એક આશા જગવતો પ્રયાસ હાથ ધર્યો છે જેમાં સફળતા મળે તો ઉપરોક્ત વૃક્ષો ની સંખ્યા વધારી શકાશે. તેના અંગે જાણકારી આપતાં સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજાએ જણાવ્યું કે,અમે આ વૃક્ષના લગભગ ટેનિસ બોલના કદના ૫૦૦ જેટલાં ફળ એકત્ર કરીને, આખેઆખા ફળને જમીનમાં વાવી દઈને નર્સરી બેડ બનાવ્યો છે.આ રીતે આ વૃક્ષના રોપા ઉછેરવાનો પરિશ્રમ અમે કરી રહ્યાં છે.
આ વૃક્ષ હોકા ટ્રી, ડાઉમ પામ,જીંજર બ્રેડ ટ્રી જેવા અન્ય નામે ઓળખાય છે.એના ફળની ઉપર અત્યંત કઠણ કોચલું ધરાવે છે.જો કે તેના ફળ તાડ ફળીની જેમ વ્યાપક રીતે ખાવાના ઉપયોગમાં આવતાં નથી. નાયબ વન સંરક્ષક જણાવે છે કે, આ પ્રયોગમાં સફળતા માટે છ એક મહિના સુધી રાહ જોવી પડશે.જમીનમાં દાટેલા ફળોના કોચલા સડીને ફાટે તે પછી બીજમાંથી અંકુર ફૂટવા ની અમે આશા રાખી રહ્યાં છે. જો આ રીતે તેના રોપા ઉછેરવામાં સફળતા મળશે તો રાવણતાડના નવા વૃક્ષો દ્વારા તેની સંખ્યા વધારી શકાશે. હાલમાં અમે ધીરજ રાખી સારું પરિણામ મળવાની રાહ જોઈ રહ્યાં છે.
મહારાજા જણાવે છે કે હાલમાં બહુધા આ વૃક્ષો આજવા અને રાજ મહેલની આસપાસ જોવા મળે છે.વડોદરા નજીકના જંગલોમાં આ પ્રકારના તાડ નથી એટલે મોટેભાગે ગાયકવાડી શાસન કાળનો આ વારસો હોવાની સંભાવના જણાય છે.તળ ગુજરાતના વિસ્તારમાં રાવણતાડના રોપ ઉછેરવાનો આ લગભગ પ્રથમ પ્રયાસ છે અને સફળતા મળશે તો વૃક્ષો વધારી શકાશે.
દેવતાઈ વૃક્ષોને જ સાચવવા જોઈએ એવા અભિગમને બદલે બધાં વૃક્ષોમાં દેવનો વાસ છે એટલે બધાં વૃક્ષો સાચવવા જોઈએ એવો અભિગમ સમાજમાં કેળવાય તે જરૂરી છે.રાવણતાડના રહ્યા સહ્યા વૃક્ષો વનસ્પતિ વૈવિધ્યનો વૈભવ વારસો છે.એને સાચવવાએ સહુની જવાબદારી ગણાય.
(ફોટો અને માહિતી: સામાજિક વનીકરણ વિભાગ,વડોદરા)