Surat District Forest Department: નવી પહેલ :સુરત જિલ્લા વન વિભાગે ઉદ્યોગોના સહયોગ થી દરિયાકાંઠે અઢી હજાર હેક્ટરમાં ચેરનું વાવેતર અને સંવર્ધન શરૂ કર્યું છે
Surat District Forest Department: ૨૬ મી જુલાઇને ઉજવાશે ઇન્ટર નેશનલ ડે ફોર ધી કંઝરવેસન ઓફ મેંગ્રોવ ઇકો સિસ્ટમ – ચેરના જંગલોના સંરક્ષણ માટેનો આંતર રાષ્ટ્રીય દિવસ
- ગુજરાતમાં દરિયા કાંઠાની રક્ષા કરતા આ વૃક્ષ અને તેની ઝાડીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે
વડોદરા: ૨૬ જુલાઈ: Surat District Forest Department: અંગ્રેજીમાં મેન્ગ્રોવ અને ગુજરાતીમાં ચેર તરીકે ઓળખાતી વનસ્પતિએ દરિયાકાંઠાના ખારા પાણી અને કાદવિયા જમીનમાં ઉગતી એક માત્ર વૃક્ષ પ્રજાતિ છે. મધ્ય ગુજરાતના કે ગીર જેવા જંગલોમાં સાગ,મહુડો,બહેડો, કલમ જેવા ઇમારતી કે બળતણ ઉપયોગી,ગૌણ વન પેદાશો આપતાં અનેક પ્રકારના વૃક્ષો ઊગે છે. જ્યારે દરિયા કાંઠાની મુખ્યત્વે છાજલી વાળી,ખારા પાણી અને દલ દલ ધરાવતી જમીનમાં એક માત્ર મેંગ્રૌવ એટલે કે ચેર નામની વનસ્પતિ પ્રજાતિ ઉછરી શકે છે.
ગુજરાત ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવે છે (Surat District Forest Department) અને આ ચેરના જંગલો દરિયા કાંઠાના રક્ષણમાં ઢાલ કે કવચનું કામ કરે છે.તે દરિયાઈ જીવ સૃષ્ટિ અને યાયાવર પક્ષીઓ માટે ઘોડિયાઘરનું કામ કરે છે.દરિયા ના તોફાની મોજાથી થતું કાંઠાનું ધોવાણ અટકાવે છે.સુનામી કે દરિયાઈ આફતો સામે રક્ષણ દીવાલની ગરજ સારે છે. એટલે દરિયા કાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા,તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમુલ્યતા સમજાવવા દર વર્ષે ૨૬ મી જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર ધી કંઝરવેસન ઓફ ધી મેન્ગ્રૌવ ઇકો સિસ્ટમ એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો દ્વારા યુનેસ્કોના માધ્યમથી ૨૬ મી જુલાઇના રોજ તેની ઉજવણી ૨૦૧૬ થી કરવામાં આવી રહી છે.આ વર્ષે સોમવાર તા.૨૬ મી જુલાઇના રોજ છઠો વિશ્વ ચેર સંરક્ષણ દિવસ કેર અવર અર્થ એટલે કે આપણી ધરતી માતાની કાળજી લઈએના હાર્દ રૂપ વિષય હેઠળ ઉજવાશે . ચેરના જંગલો દેખાવમાં ભવ્ય હોય છે અને દરિયા કાંઠાને લીલી આભા આપે છે.વિશ્વના કુલ જંગલોના માત્ર ૦.૪ ટકા વિસ્તારમાં આવેલા, દરિયા કાંઠાના આ સંરક્ષક જંગલો જળ વાયુ પરિવર્તન અટકાવવામાં ખૂબ ઉપયોગી છે એવો નિષ્ણાતોનો મત છે.
વડોદરા દરિયા કિનારે નથી એટલે સ્વાભાવિક રીતે આ દરિયાઈ જંગલ આપણે જોયું ના હોય.પરંતુ નજીકના આણંદ જિલ્લાના,ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ચેર જોવા મળે છે.અને ઉછેરના પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે.
વન વિભાગ અને ગુજરાત ઇકોલોજી કમિશન જેવી સંસ્થાઓએ દરિયા કાંઠાની જમીનોમાં ચેરના ઉછેરના પ્રોજેક્ટ હાથ પર લીધા છે એવી જાણકારી આપતાં સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું કે,સુરતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અંદાજે સાત હજાર હેક્ટરમાં ચેરનો ઉછેર હાથ ધરવામાં આવ્યો છે.વન વિભાગે છેલ્લા ઘણાં વર્ષોથી ચેર ઉછેર અને સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકી છે જેના સારા પરિણામો મળ્યાં છે અને આ કામમાં લોક ભાગીદારી જોડી શકાઇ છે.
ભારત સરકારના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દર બે વર્ષે ચેરના જંગલોના ઉછેરમાં મળેલી સફળતાનું આકલન કરવામાં આવે છે.અને તેમાં ગુજરાતમાં સારો વિકાસ થયો છે એવી નોંધ લેવાઈ છે.રાજ્યનો વન વિભાગ તેને લગતી બુકલેટ પણ પ્રકાશિત કરે છે. તેમણે જણાવ્યું કે એક નવી પહેલના રૂપમાં સુરત વિભાગમાં ઉદ્યોગોના સહયોગથી પી. પી. પી. મોડેલ હેઠળ લગભગ અઢી હજાર હેકટર કાંઠા વિસ્તારની જમીનમાં ચેરના વાવેતર અને ઉછેરનો પ્રોજેક્ટ ગ્રામ કક્ષાએ સમિતિઓ બનાવીને વન વિભાગના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો છે. વર્કશોપ, સેમિનાર યોજીને,ગ્રામ પર્યાવરણ સમિતિઓના માધ્યમથી ચેરના વાવેતર,ઉછેર અને સંરક્ષણની લોક જાગૃતિ કેળવવામાં આવી રહી છે.
દરિયા કાંઠાના પાણીમાં ઓટલા બેડ બનાવીને ચેર ઉછેરવામાં આવે છે.આ ઉછરેલા ચેરના બીજ ઓટના જળ પ્રવાહની સાથે દરિયામાં જાય છે.એટલે દરિયા તરફ નવા વૃક્ષો આપો આપ ઊગે છે અને વધે છે.એવો અંદાજ છે કે દર વર્ષે ૫ થી ૭ ટકા રિજનરેસન થાય છે.એટલે ચેરના વાવેતર,ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે. ચેરના જંગલો અને તેને આધારિત ઇકો સિસ્ટમ અદભૂત,ભવ્ય,વિશેષ અને થોડા નુકશાનથી જોખમમાં મુકાય તેવી નાજુક છે.ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત આ ચેર જંગલો ની સારી એવી સંપદા ધરાવે છે.ગુજરાતમાં કચ્છમાં તે સહુથી વધુ પ્રમાણમાં છે.સુરતના કાંઠે એવિસેના મરીના અને સંલગ્ન પ્રજાતિઓ જોવા મળે છે.
દરિયા કાંઠા માટે આ વનસ્પતિ સુરક્ષા કવચનું કામ કરે છે.ધરતી પરના જંગલો જેટલા જ અગત્યના આ દરિયાઈ જંગલો છે જેની સાચવણી ખૂબ જરૂરી છે. (વન વિભાગ અને વિવિધ સ્ત્રોતો ની મદદથી સંપાદિત )