ખેડૂત આંદોલનથી રાજનાથ સિંહ નારાજ, નેતાઓને મોંઢા બંધ રાખીને ખેડૂતોને સન્માન આપવાની આપી સલાહ
નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા અંગે ખેડૂતોના આગેવાનોએ સરકાર સાથે વાતચીત પણ કરી છે. જો કે કોઇ ઉકેલ આવ્યો નથી. હવે ખેડૂત આંદોલનના કારણે મોદી સરકાર ભારે ભીંસમાં છે ત્યારે આંદોલન મુદ્દે ભાજપના મતભેદો ધીરે ધીરે જાહેરમાં આવી રહ્યા છે. સુશીલ કુમાર મોદીએ અરૂણ જેટલીના બહાને ભાજપની નેતાગીરીને નિષ્ફળ ગણાવી એ પછી હવે રાજનાથસિંહે ભાજપની નેતાગીરીને આડે હાથ લીધી છે.
રક્ષામંત્રી રાજનાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂત આગેવાનોને અર્બન નક્સલ, ખાલિસ્તાનવાદી ગણાવતા ભાજપના નેતાઓને જાહેરમાં ઝાટક્યા છે. ખેડૂતોને અન્નદાતા ગણાવીને રાજનાથે ભાજપના નેતાઓને મોં બંધ રાખવા અને ખેડૂતો તરફ સન્માન બતાવવા પણ કહ્યું છે. રાજનાથે આડકતરી રીતે એવું પણ કહી દીધું કે, આ પ્રકારના બકવાસના કારણે ખેડૂતોમાં આક્રોશ છે અને નરેન્દ્ર મોદી પોતે પણ દુઃખી છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજનાથે આ મુદ્દે કેબિનેટમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોને દેશદ્રોહી ગણાવતાં નિવેદનો સામે વાંધો લઈને તેમણે સવાલ કર્યો હતો કે, ખેડૂતો દેશદ્રોહી છે તો તેમની સાથે આપણે મંત્રણા શું કરવા કરી રહ્યા છીએ ? નરેન્દ્રસિંહ તોમર સહિતના પ્રધાનોએ રાજનાથની વાતમાં સૂર પુરાવીને આ પ્રકારનાં નિવેદનો બંધ કરાવવા મોદીને વિનંતી કરી હતી.
આ પણ વાંચો…
વીડિયોઃ ઘરે બેઠા જુઓ માઉન્ટ આબુની સ્થિતિ, કડકડતી ઠંડીમાં શું કરી રહ્યા છે લોકો…!