10th Convocation of Rai University: રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત
10th Convocation of Rai University: ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક કે વકીલ થશો પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- 10th Convocation of Rai University: પ્રાચીનકાળમાં દીક્ષાંત સમારોહમાં ગુરુજનો વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપી સમાજિક જીવનનું મહત્ત્વ સમજાવતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- શિસ્ત, વિશ્વાસ, જવાબદારી, ધૈર્ય, ધર્મના પાલન સાથે વિદ્યાર્થી દેશના વિકાસમાં ભાગીદાર થાય : પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
અમદાવાદ, 14 માર્ચ: 10th Convocation of Rai University: રાય યુનિવર્સિટી, અમદાવાદના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે આ અવસરે કહ્યું હતું કે, અત્યાર સુધી શિક્ષકો અને ગુરુજનોએ આપ સૌને શિક્ષિત કર્યા છે, પરંતુ દીક્ષિત કરવાનું કામ આજે કરવામાં આવી રહ્યું છે. આપ સૌ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત થશો, તમારામાંથી ઘણા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વકીલ થશો. પરંતુ મનુષ્ય થવાનું ન ભૂલતા. મનુષ્ય થઈને આપ નાગરિકોનાં દુઃખ અને સમસ્યાને પોતાનાં સમજીને તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરજો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં આ અવસરે ગુરુજનો વિદ્યાર્થીઓને અંતિમ ઉપદેશ આપતા હતા. સત્ય બોલવું, ધર્મનું આચરણ કરવું અને આજીવન વિદ્યાર્થી બની રહેવાનો ઉપદેશ આપતા. આ ઉપદેશથી વિદ્યાર્થીને સામાજિક જીવનની વાસ્તવિકતાને સ્વીકારવા અને સમસ્યાઓની સામે લડવાની પ્રેરણા આપતા હતા. આજે પણ આપણે આપણી સંસ્કૃતિની વ્યવસ્થાને જાળવી રાખી છે જે આનંદની વાત છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુરસ્કૃત વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો:- CAA in Gujarat: ગુજરાતમાં CAAના સંપૂર્ણ-ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
આ અવસરે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું કે, તમારા જીવનમાં ખરી પરીક્ષા આવતીકાલથી શરૂ થશે. આપે મેળવેલ શૈક્ષણિક જ્ઞાન, ગુરુજનોના તથા માતા પિતાના સંસ્કારો; તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આપ સૌ ખૂબ મહેનત કરો અને આગળ વધો તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનને લગતી અનેક મહત્વપૂર્ણ સલાહ આપી હતી અને વિદ્યાર્થીઓને જીવનમાં મોટા લક્ષ્યો તથા મહત્વની પ્રવૃત્તિઓ સાથે પ્રવેશ કરવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, વિશ્વાસ, જવાબદારી, ધૈર્ય અને ધર્મનું પાલન કરતાં કરતાં વિદ્યાર્થી દેશના વિકાસમાં ભાગીદાર થાય તેવી પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાય યુનિવર્સિટીના ચેરપર્સન સંગીતા રાયે કર્યું હતું. આ અવસરે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, કુલપતિ અનિલ તોમર, રજિસ્ટ્રાર બીજેન્દ્ર યાદવ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા હાજર રહ્યા હતા.