Shramniketan scheme: રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી
Shramniketan scheme: ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે
ગાંધીનગર, ૧૭ જૂન: Shramniketan scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે.
દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતન નો આરંભ કરવા માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.
આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ૭ માળની બનશે અને ૪૧૩૮ સ્કવેર મીટરમાં નિર્માણ પામશે. શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્ટેલ-શ્રમનિકેતન અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે ર૮ મહિનામાં પૂર્ણ કરાશે. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ થનારી આ હોસ્ટેલમાં અંદાજે ૧ હજાર ઉપરાંત શ્રમયોગીઓ રહિ શકે તેવી વ્યવસ્થા કરાશે. એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા ૪,૮,૧ર અને ર૪ વ્યક્તિઓ રહિ શકે તેવા રૂમ બનાવાશે.
આ એમ.ઓ.યુ પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીતભાઈ શાહ અને રાજ્ય સરકાર વતી વેલ્ફેર કમિશ્નર દિગંત બ્રહ્મભટ એ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU થવા અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. શ્રીમતી અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા*