2 Congress MLA Resigns: ગુજરાત કોંગ્રેસમાંથી આજે અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું- વાંચો વિગત
2 Congress MLA Resigns: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો
અમદાવાદ, 04 માર્ચઃ 2 Congress MLA Resigns : લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. તેમણે ગુજરાત વિધાનસભા પહોંચીને સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા પછી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ આવશે.
અર્જુન મોઢવાડિયાએ એક્સ પરથી કોંગ્રેસનું પ્રતીક હટાવી દીધું છે. રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મોઢવાડિયાએ કહ્યું છે કે, ‘મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.’
ઉલ્લેખનીય છે કે, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને યુવા કોંગ્રેસી નેતા અંબરીશ ડેરે રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષનો કાંટાળો તાજ છોડીને ડેરે હવે ભાજપનો ભગવો ધારણ કરવાનું પાક્કુ મન બનાવી દીધુ છે. અગાઉ અનેકવાર તેઓના પક્ષ પલટાની વાતો વહેતી થઇ ચૂકી હતી, જોકે આ વખતે સત્તાવાર રીતે અમરીશ ડેરે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની અને આવતીકાલે ભાજપમાં જોડાવાની વાત પાક્કી કરી છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો