IPLમાં અમદાવાદની ટીમ થઇ શકે છે સામેલ, 24 ડિસેમ્બરના રોજ BCCIની બેઠકમાં લેવાશે નિર્ણય
અમદાવાદ,03 ડિસેમ્બરઃ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ની વાર્ષિક સામાન્ય સભા 24 ડિસેમ્બરના રોજ થશે. આ બેઠકમાં આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરવા પર ચર્ચા કરવામાં આવશે. બેઠકના એજન્ડામાં ઉપાધ્યક્ષની ચૂંટણી પણ સામેલ છે. બીસીસીઆઈએ એજીએમ બોલાવતા પહેલા તમામ માન્ય એસોસિએશનોને 21 દિવસ પહેલા 23 બિંદુઓનો એજન્ડા મોકલ્યો છે.
આ બેઠક વિશે સૌથી મહત્વની વાત આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરીને તેને 10 ટીમોની ટૂર્નામેન્ટ બનાવવાની છે. નોંધનીય છે કે અદાણી સમૂહ અને સંજીવ ગોયનકાની આરપીજી (રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સના માલિક) નવી ટીમો બનાવવા ઈચ્છે છે, જેમાં એક ટીમ અમદાવાદથી હશે. આ ઉપરાંત બેઠકમાં તે વાત પર પણ ચર્ચા થશે કે આઈસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં બીસીસીઆઈના પ્રતિનિધિ કોણ હશે. સમજી શકાય કે બોર્ડ સચિવ જય શાહને આ જવાબદારી સોંપવામાં આવશે.
આ પસંદગી સમિતિમાં ત્રણ નવા પસંદગીકારોની ખાલી જગ્યા પણ ભરવાની છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ‘પસંદગી સમિતિ ક્રિકેટ સમિતિનો ભાગ છે. આ સિવાય ટેકનિકલ સમિતિની રચના થવાની છે. આ બધી ઉપસમિતિઓ છે.’ તે સાથે જ અમ્પાયરોની ઉપ સમિતિની રચના પણ થશે. આ સિવાય રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવામાં આવશે. ભારતનો 2021નો ફ્ચૂચર ટૂર કાર્યક્રમ, આગામી વર્ષે રમાનાર ટી20 વિશ્વકપની તૈયારી અને 2028 લોસ એન્જિલસ રમતોમાં ક્રિકેટને સામેલ કરવા વિશે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.