કોરોનાના કેસ(Corona case)માં સતત થઇ રહેલા વધારાના કારણે તબીબોની ચિંતામાં વધારો, સિનિયર પેથોલોજીસ્ટે આપ્યું મહત્વનું નિવેદન- વાંચો સંપૂર્ણ અહેવાલ
ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ(Corona case) વચ્ચે હવે ડબલ મ્યુટેશનનો પણ મોટો ખતરો ઊભો થયો છે. કોરોનાના જૂના વેરિયન્ટ કરતા આ વાયરસ બિલકુલ અલગ અને ખૂબ જ ઘાતક છે. ત્યારે આ મામલે સિનિયર પેથોલોજીસ્ટ ડૉક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ‘ડબલ મ્યુટેશનથી વાયરસની ચેપ ફેલાવવાની ક્ષમતા, ઘાતકતા તેમજ વેક્સિનની વાયરસ ઉપર અસર પડી શકે છે. કોરોનાના યુ.કે. સ્ટ્રેન પછી ડબલ મ્યુટેશનનો મોટો ખતરો વધી રહ્યો છે. કોરોનામાં વારંવાર આવતા મ્યુટેશને તબીબો અને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોના(Corona case)ની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આરોગ્ય વિભાગના અધિકારીઓમાં સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ, એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત તમામ વિભાગો સાથે બેઠકો કરી જરૂરી સુધારાઓ સૂચવ્યાં હતાં. આ ઉપરાંત અધિકારીઓએ કોવિડ કોર કમિટી સાથે પણ ચર્ચાઓ કરી હતી. કોરોનાના કેસો વધતા સિવિલ હોસ્પિટલને વધુ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સિવિલને પેશન્ટ એટેન્ડન્ટ, પેશન્ટ કાઉન્સિલર, ડોક્ટરો તેમજ વર્ગ-4ના કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, કોરોનાના યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો પ્રસાર હોવાનું સત્તાવાર રીતે સ્વીકારાયું છે. આ વિસ્તાર સાથે ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે એ ઈચ્છનીય છે.
અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. એ પછી નવા સંક્રમિતોની સંખ્યા સતત વધતી રહી છે. ગુજરાતમાં કોરોનાનો યુકે સ્ટ્રેન નોંધાયા પછી હવે નવા ડબલ વેરિયન્ટનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. પાલિકા-પંચાયતોની ચૂંટણી, મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ અને દાંડીયાત્રા જેવા જાહેર કાર્યક્રમોમાં ઉમટેલી આડેધડ ભીડ અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉઘાડેછોડ ભંગને લીધે છેલ્લાં એક મહિનામાં કોરોના સંક્રમણમાં ભારે ઉછાળો આવ્યો છે.
ગુજરાતમાં હવે એક એક દિવસ કોરોના માટે નવા નવા રેકોર્ડ સર્જનારા બની રહ્યા છે કેમ કે પ્રતિદિન કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1961 કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યા છે.
આ પણ વાંચો…