શિયાળામાં ઇમ્યુનિટી વધારવા માટે ખાઓ આમળા, સ્વાસ્થ્ય માટે લાભદાયી- જાણો ફાયદા

હેલ્થ ડેસ્ક,16 ડિસેમ્બરઃ કહેવાય છે, કે જો વર્ષ દરમિયાન સ્વસ્થ્ય રહેવું હોય તો તે માટે ઠંડીની સિઝનમાં વ્યવસ્થિત પોષક યુક્ત ખોરાક લેવો જોઇએ. જેથી ઘણા લાકો ખજૂર પાક, સીંગ પાક, મેથીના લાડુ, વેજીટેબલ સુપ પીતા હોય છે. તે જ રીતે શિયાળામાં મળતા આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. આમળાની ખાસ વાત એ છે કે તેને કેટલીય રીતે ખાઇ શકાય છે. કેટલાક લોકો આમળાનો મુરબ્બો ખાય છે, તો કેટલાક લોકો આમળાનો જ્યુસ, ચટણી અથવા અથાણું બનાવીને પોતાની પસંદ અનુસાર તેનું સેવન કરતા હોય છે.

શિયાળામાં ગોળની સાથે આમળાનું સેવન કરવાથી શરીરમાં ગરમી જળવાઇ રહે છે અને કેટલીય બીમારીઓથી દૂર પણ રહેવાય છે. શિયાળામાં આમળાનું સેવન કરવાથી ઇમ્યૂનિટી જળવાઇ રહે છે જેનાથી શરદી-ખાંસીથી બચી શકાય છે. તો આવો જાણીએ કે આમળાના સેવનથી ક્યા ફાયદા થાય છે.

whatsapp banner 1

આમળા ખાવાથી થતા ફાયદા

  • આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે. આ શરીરના ઇમ્યૂનિટી પાવરને મજબૂત કરવામાં મદદ કરે છે જેનાથી શરીર બહારના સંક્રમણથી બચી શકે છે.
  • સ્કિનની સુંદરતા જાળવી રાખવા માટે પણ વિટામિન સી જરૂરી હોય છે. વિટામિન સીનું સેવન કરવાથી સ્કિન ટાઇટ રહે છે. ત્વચા પર જલ્દી કરચલીઓ પડતી નથી. સ્કિનમાં ગ્લો જળવાઇ રહે છે. તેના માટે તમે ઇચ્છો તો દહીંમાં આમળા પાઉડર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
  • શરીરમાં રહેલ ફ્રી રેડિકલ્સ હાર્ટ અને સ્કિનની સાથે શરીરની ઇમ્યૂનિટી પર પણ ખરાબ અસર કરે છે. હકીકતમાં ફ્રી રેડિકલ્સ શરીરના સોજા માટે પણ જવાબદાર હોય છે, જે કેટલીય બધી બીમારીઓને જન્મ આપવાનું કામ કરે છે. પરંતુ આમળામાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ્સ, ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રલાઇઝ કરીને શરીરના સોજાને દૂર કરવામાં મદદ કરે છે.
  • આમળામાંથી મળી આવતું વિટામિન-સી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જે લોકો બેડ કૉલેસ્ટ્રોલની સમસ્યા સામે લડી રહ્યા છે, તેમણે આમળાનું સેવન કરવું જોઇએ.
  • આમળાના સેવનથી વાળ ખરતા ઓછા થાય છે. તથા વાળ મજબૂત બને છે. આમળાનું તેલ વાળમાં લગાવાથી ઠંડક મળે છે.

આ પણ વાંચો….

ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચારઃ રવિન્દ્ર જાડેજાએ શરુ કરી દીધી પ્રેક્ટિસ, જુઓ વીડિયો