ભારતીય ખેલાડીઓ માટે હવે નિયમોને લઇને આવ્યા નવા ફિટનેસ ટેસ્ટ, જે પાસ કર્યા બાદ જ મળશે ટીમમાં એન્ટ્રી
નવી દિલ્હી, 23 જાન્યુઆરીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં હવે ફિટનેસનું મહત્વ ઘણું વધી ગયું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતની સફળતા પાછળ આ બાબતનું પણ મહત્વનું યોગદાન છે. જો કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી સ્પર્ધાત્મકતાને જોતા ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયામાં ક્રિકેટરોની એન્ટ્રી માટે ફિટનેસના ધારા ધોરણને વધારે આકરા બનાવ્યાં છે.
મળેલી માહિતી અનુસાર, ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓ માટે બે કિલોમીટરની દોડની ટ્રાયલ ફરજિયાત બનાવી દીધી છે. જે પ્રમાણે ફાસ્ટ બોલરોએ 8 મિનિટ અને 15 સેકન્ડમાં અને બેટ્સમેન તેમજ વિકેટ કીપરે આટલું જ અંતર 8 મિનિટ અને 30 સેકન્ડમાં દોડીને પુરું કરવું પડશે. ટીમમાં એન્ટ્રી માટે આ ટેસ્ટ અનિવાર્ય હશે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હાલમાં ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરવો જરૂરી છે. આ સિવાય રનિંગ ટ્રાયલમાંથી પણ પસાર થવું પડશે. ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાનારી સિરિઝમાં વન-ડે અને ટી-20 મેચોથી આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવશે. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પણ તેને લીલી ઝંડી આપી દીધી છે.
ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે પણ નવો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી હશે. આ ટેસ્ટ ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડમી અથવા તો ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ મેમ્બર સામે આપી શકશે. આ ટેસ્ટ ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભાગ લેનારા ખેલાડીઓને માત્ર ફેબ્રુઆરીમાં યોજાનારા આ ટેસ્ટમાં છૂટ આપવામાં આવી છે. પરંતુ સિમિત ઓવર માટે ટીમમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓને આ ટેસ્ટમાં પાસ થવું જરૂરી રહેશે.
આ પણ વાંચો…