Kanubhai Desai

Gujarat Budget 2024: ગુજરાતના બજટ પર નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પ્રવચન, જાણો શું કહ્યું…

Gujarat Budget 2024: નાનકડી શરૂઆતથી પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે: કનુભાઈ દેસાઈ

ગાંધીનગર, 02 ફેબ્રુઆરીઃ Gujarat Budget 2024: ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયેલ છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે.

રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતાપુત્ર વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@૨૦૪૭ નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.

“એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-૨૦ સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વના આર્થિક વિકાસનું કેન્‍દ્રબિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્વમિત્ર બન્યું છે. જી-૨૦ના વિવિધ કક્ષાના ૧૭ જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે.

નાનકડી શરૂઆતથી પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્‍દ્રભાઇની કુનેહના કારણે વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે.

અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઇબ્રન્‍ટ સમિટમાં ૪ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ૪૦ દેશોના મંત્રીઓ, ૧૪૦થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

આપણા મૃદુ પણ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનું સ્વપ્નું છે કે, આપણું ગુજરાત 5-G ગુજરાત બને. તેઓની 5-G ની કલ્પના છે- ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત! ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય. ગુણવંતુ ગુજરાત એટલે એવુ રાજય કે જેના નાગરિકોનું જીવન, મૂલ્યનિષ્ઠ હોય અને તેઓ સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય.

ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઊર્જા અને સરક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય. ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતા વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે. આમ, ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય, ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને, સમય સાથે ગતિશીલ રહે તે અમારો ધ્યેય છે.

ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે.

રાજયની મોટાભાગની વસતિ હાલમાં ૧૮ થી ૬૦ વર્ષના વયજૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજયને ડેમોગ્રાફિક ડિવીડ‍ન્‍ડનો લાભ મળે તેમ છે. છેલ્લાં બે દશકના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં, રાજયમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે. રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે. આ સાથે, ગ્રામીણ ક્ષેત્રોનો વિકાસ અને અન્નદાતાઓનું સન્માન કરી કૃષિક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે “ यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवताः। ” આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે, જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્‍દ્ર સરકારે “નારી શક્તિ વંદન અધિનિયમ” લાવી લોકસભા અને વિધાનમંડળોમાં મહિલાઓને ૩૩% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે, જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે.

મહિલાઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને સુદ્રઢ કરી તેમનો આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા, આગામી વર્ષના બજેટમાં વિવિધ જોગવાઇઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવેલ છે. આમ, અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમોમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.

વિકસિત ભારત @૨૦૪૭ માટે ગુજરાતની દિશા નક્કી કરી, રાજયના ૭ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા, વિકસિત ગુજરાત @૨૦૪૭ નો વિઝન ડોક્યુમેન્‍ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલ વિકાસને પાયામાં રાખીને, આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી ૨૫ વર્ષ માટે રાજયના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્‍ટ સર્વ પ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે.

વિકસિત ગુજરાત @૨૦૪૭ ની આ સંકલ્પનાના બે મુખ્ય પાયા છે. વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડોયુકત જીવનસ્તર ઉપલબ્ધ કરાવી રાજયના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું, તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી, તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી, સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની અમારી સરકારની નેમ છે.

સ્વસ્થ અને સશકત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્‍દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરૂષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષની અંદાજે ૩૨૦૦ કરોડની જોગવાઇ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષ માટે ૫૫૦૦ કરોડની માતબર જોગવાઇ સૂચવું છું.

બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષણક્ષમ આહાર મળે તે દરેક વ્યકિત, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્‍દ્રસ્થાને હોઇ તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું તે અમારો સામાજિક સંકલ્પ છે.

આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદ્રઢ કરવામાં આવશે. વિકસિત ગુજરાત @૨૦૪૭ ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું.

સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ `૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં `૧૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

રાજયમાં દર વર્ષે અંદાજે ૧૨ લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલ હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક `૩૦૦ કરોડના ખર્ચે ૫ લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવી રહેલ છે.

સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું “નમો શ્રી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ૧૨ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું૭૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫% થી વધારી ૪.૫% કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ ૬૦% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું.

પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામો મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતાં ૭૮ આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્‍ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્‍ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

આરોગ્ય ચકાસણી દ્વારા પોષણની દ્રષ્ટિએ ગંભીર ઉણપ ધરાવતા બાળકોને અલગ તારવી તેઓની ભોજન તેમજ આવશ્યક પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપવામાં આવતા વિશિષ્ટ પોષણક્ષમ આહાર (બાલ અમૃતમ)નો વ્યાપ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત હવે આંગણવાડી સાથે પ્રાથમિક શાળાના ધોરણ-૧ થી ૮ સુધીના બાળકોને આવરી લેવામાં આવશે. ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની `૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ૨.૦ યોજનાની હું જાહેરાત કરું છું.

આ યોજના અંતર્ગત આગામી ૩ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને ૨૦ હજાર આંગણવાડીઓને આઇ.ટી. કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. સેન્‍ટ્રલ રિસોર્સ સેન્‍ટર ઉભું કરી પ્રિ-પ્રાઇમરી લર્નિંગને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ હવે ૧૦ લાખ સુધીની સારવાર મળવાપાત્ર છે. આ યોજના માટે રાજયમાં ૨૫૩૧ હોસ્પિટલ એમ્પેનલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ આગામી વર્ષે `૩૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

કેન્‍સર જેવી ગંભીર બિમારીના દર્દીઓને સારવાર આપવા અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ સ્થાપવામાં આવેલ છે, જ્યાં રાજયના દર્દીઓની સાથે પડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. કેન્‍સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે `૬૦૦ કરોડના ખર્ચે કેન્‍સર ઇન્‍સ્ટીટ્યુટ ખાતે સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ ફોર ન્યુક્લીયર મેડિસીન અને પ્રોટોન બીમ થેરાપી કાર્યરત કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું.

એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું “નમો સરસ્વતી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર મળી કુલ ૨૫ હજારની સહાય આપવામાં આવશે.

આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડનો ખર્ચ થશે. રાજયની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે.

સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા `૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ ૨.૦ અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર” ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્‍દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.

તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૭માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનની હું જાહેરાત કરું છું.

આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના ૧૩૦૦ કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે ૨૫૦૦ કરોડની જોગવાઇ હું સૂચવું છું.

રમતગમત ક્ષેત્રે સફળતાના નવા શિખરો સર કરવા માટે રાજયમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટસ ઇન્‍ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ હેતુસર અમદાવાદમાં આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. રાજયના અંતરિયાળ વિસ્તારના ગામડાઓથી માંડીને શહેરી વિસ્તારોમાંથી વિવિધ રમતોમાં તેજસ્વી બાળકોને ઓળખી તેમને સુનિયોજત ધોરણે તાલીમ આપવાનું આયોજન છે.

પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.

રાજયમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યાં છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજયમાં એમ.એસ.એમ.ઇ. એકમોની સંખ્યા ૧૬ લાખ કરતા વધારે છે. રાજયના અર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો ૩૫.૩૦% છે અને છેલ્લાં દશકમાં આ ક્ષેત્રે ૧૨.૮૦% ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. છેલ્લાં બે દશકામાં ૫૫ બિલિયન યુ.એસ.ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી, રાજય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે.

ગ્લોબલ સેમિકન્‍ડકટર સપ્લાય ચેઇન-મેન્યુફેકચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરતો સાણંદ ખાતે “માઇક્રોન” કંપની દ્વારા સેમિકન્‍ડકટર પ્લાન્‍ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે. હીરાના વૈશ્વિક બજારમાં ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. ડાયમંડ કટિંગ, પોલિશિંગ, માર્કિંગ, સર્ટિફિકેશનને આવરી લેતું ડાયમંડ બુર્સ સુરતમાં શરૂ કરવામાં આવેલ છે, જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે.

વિકસિત ગુજરાત@૨૦૪૭ના અમારા આયોજનમાં ઉદ્યોગોનો મહત્વનો ફાળો રહેશે. હાલના મહત્વના ક્ષેત્રો જેમ કે ટેકસટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, મશીનરી, ઓટોમોબાઇલ વગેરે સાથે સસ્ટેનેબલ મેન્યુફેકચરિંગ માટે સેમિકન્‍ડકટર, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, બેટરી અને તેનાથી સંચાલિત વાહનો આધારિત ઉદ્યોગો ભવિષ્યમાં ગુજરાતના વિકાસના પાયામાં રહે તેવા પ્રયત્નો સરકારે આદર્યા છે.

તાજેતરમાં યોજાયેલ વાઇબ્રન્‍ટ ગુજરાતની ૧૦મી આવૃતિમાં ઉદ્યોગકારોએ દાખવેલ રસ દર્શાવે છે કે ભવિષ્યલક્ષી ઉદ્યોગ ક્ષેત્રે (ન્યુએજ AI/ML, IoT વગેરે) ગુજરાત દેશમાં જ નહી પરંતુ વિશ્વમાં અગ્રણી બની રહેશે. સ્ટાર્ટ-અપ પ્રતિભાશાળી યુવાઓને ઉદ્યોગ જગત સાથે જોડતી મહત્વપૂર્ણ કડી છે. મને જણાવતાં આનંદ થાય છે કે ગુજરાતે છેલ્લાં ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. સરકારે ઉચ્ચ તકનીકી શિક્ષણ સંસ્થાઓથી માંડી ઉદ્યોગક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.

ભક્તિ, શક્તિ તેમજ સંસ્કૃતિના પર્યાયસમા ગરવી ગુજરાતના પરંપરાગત “ગરબા”ને યુનેસ્કો દ્વારા માનવ સભ્યતા માટે “ઇન્‍ટેંજિબલ કલ્ચરલ હેરિટેજ” જાહેર કરાયેલ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સફેદ રણનાં હાર્દસમા કચ્છના ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા “બેસ્ટ ટુરિઝમ વિલેજ” નો એવોર્ડ મળેલ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના દૂરોગામી વિઝનથી વિકાસ પામેલ ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના કારણે રાજય MICE (મિટીંગ, ઇન્‍સેન્‍ટીવ, કોન્‍ફરન્‍સ અને એક્ઝિબિશન) ઇન્‍ડસ્ટ્રી માટે બેસ્ટ ચોઇસ બની રહ્યું છે.

પાંચ આઇકોનિક પ્રવાસન સ્થળોના વિકાસ સાથે પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરવામાં આવેલ હતી. જે અન્‍વયે સુનિયોજિત રણનીતિ સાથે અમે આગળ વધી રહ્યાં છીએ. ઉત્તર ગુજરાતના અંબાજી-ધરોઇ-તારંગા-વડનગર વિસ્તારનો વર્લ્ડ કલાસ સસ્ટેનેબલ ટૂરિસ્ટ પિલ્ગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

અમારી સરકારના આવા પગલાઓથી પ્રવાસન ક્ષેત્રે મોટા પ્રમાણમાં સારી આવક આપતી રોજગારીના સર્જનની સાથોસાથ સાંસ્કૃતિક ધરોહરનું સંરક્ષણ અને વિકાસ થશે. અયોધ્યાધામ ખાતે ગુજરાતી પ્રવાસીઓની સગવડો અર્થે ગુજરાત યાત્રી ભવન માટે જમીન મેળવી લેવામાં આવેલ છે અને તેના નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

અમૃતકાળમાં સેવાક્ષેત્રે વિકાસ દર વધારવા અમારી સરકાર કામ કરી રહી છે. આઇ.ટી., નાણાકીય સેવાઓ, ફિનટેક, પ્રવાસન જેવા ક્ષેત્રોમાં રોજગારીની દૂરોગામી સંભાવનાઓ રહેલી છે. આ ક્ષેત્રના વિકાસ અને મૂડી રોકાણ માટે સરકારે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી આઇ.ટી./બી.ટી., ઇલેક્ટ્રોનિક્સ, સેમી કન્‍ડકટર સેકટર માટે વિવિધ નીતિઓ ઘડેલ છે.

રાજયમાં થયેલ આર્થિક અને સામાજિક વિકાસને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલ છે. યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવેલ છે. ઉચ્ચ ટેકનિકલ અને મૂલ્યવર્ધન કરનાર ઉદ્યોગો, નવા સેવાકીય સેકટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે. રાજયના યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી નેમ છે.

આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી, વિશ્વબજારમાં અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્‍દ્રિત કરી રહ્યું છે ત્યારે ગુજરાતે પણ રોકડીયા પાકો જેવા કે કપાસ, તેલીબિયા, મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે. શ્વેતક્રાંતિની આગેવાની લઇ દેશમાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે. છેલ્લાં દશકમાં કૃષિ અને આનુષાંગિક ક્ષેત્રે ૧૧.૨%નો વૃદ્ધિ દર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે.

જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસતિની અન્નની જરૂરિયાતને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડાધાનને પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે. રાજયમાં અંદાજે નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી, વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે.

આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી. આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યકિતગત વિકાસના કામો માટે `૧ લાખ કરોડનો ખર્ચ કરવાનું સરકારે નક્કી કર્યું હતું, જે દિશામાં સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઇમાં ૧૦૦% વધારો હું સૂચવું છું.

જુદાજુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટરગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજયને જળસુરક્ષા પ્રદાન કરેલ છે. પ્રભુના પ્રસાદ સમા મહામૂલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર ૨૨ લાખ હેકટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઇ ક્ષેત્રે લાવી ગુજરાતે જળક્રાંતિના મંડાણ કર્યા છે. અમૃતકાળમાં જમીનના અસરકારક ઉપયોગ અને વોટર યુઝ એફિસિયન્‍સી દ્વારા પાકોની ઉત્પાદકતા વધારવાની અમારી નેમ છે.

આગામી સમયમાં રાજયમાં, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના, વધુમાં વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્ર હેઠળ આવરી લેવાની અમારી નેમ છે. કચ્છમાં ધોરીયા પદ્ધતિ (ફ્લડ ઇરીગેશન)ના સ્થાને નક્કી કરેલ ડેમના સંપૂર્ણ કમાન્‍ડ વિસ્તારને ડેમથી ખેતર સુધી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડી સૂક્ષ્મ સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવશે.

રાજયમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે. રાજયની અંદાજે ૫૦% વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે જે વર્ષ ૨૦૪૭ સુધી વધીને ૭૫% સુધી પહોંચે તેવી ધારણા છે. શહેરો લોકો માટે વસવાટ જ નહી પરંતુ આર્થિક વિકાસના કેન્‍દ્રો પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ નિશ્ચયી છે.

સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્‍દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે.

શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએઝ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અમારી સરકાર શહેરોમાં પ્રદૂષણ નિયંત્રણ અને પ્રાકૃતિક આપદાઓના પડકારો ઝીલી સસ્ટેનેબલ ડેવલપમેન્‍ટની દિશામાં આગળ વધશે. શહેરો સાંસ્કૃતિક ધરોહર અને લોકોના આમોદપ્રમોદ માટે પણ અગત્યના સ્થાનો હોઇ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરવામાં આવશે. સુશાસન થકી શહેરી વ્યવસ્થાપનમાં ટેકનોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે અમારી સરકાર પગલા લેશે.

નરેન્‍દ્રભાઇ મોદીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્‍ટનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેકટના ફેઝ-૧માં ૧૧.૨ કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-૨માં ૫.૫ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-૩માં ગિફ્ટ સિટી સામે ૫ કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-૪ અને ફેઝ-૫ અંતર્ગત રિવરફ્રન્‍ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ, રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ ૩૮.૨ કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્‍ટમાં થશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેકટિવિટી વધારવા મેટ્રોરૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે.

જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર ૨૦૦૦ નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસ.ટી. નિગમ દ્વારા વધુ ૨૫૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતિક છે. અમારી સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય!

नहिं दरिद्र कोउ, दुखी न दीना,
नहिं कोउ अबुध, न लच्छन हीना ।

રામરાજ્યની પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ. સુશાસન માટે વડાપ્રધાનએ “મિનિમમ ગર્વમેન્‍ટ, મેક્સિમમ ગવર્નન્‍સ”નું સૂત્ર આપેલ છે. “સ્વ”થી ઉપર ઉઠીને “સમસ્તિ”નું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે. આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પયાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે આગળ વધી રહી છે.

એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજયમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

તીવ્ર ગતિએ થયેલ આર્થિક વિકાસના કારણે રાજયમાં વર્ષ ૨૦૦૦-૦૧ માં પ્રતિ વ્યકિત વાર્ષિક આવક ૧૮,૩૯૨ હતી, જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં૨,૭૩,૫૫૮ થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ વાર્ષિક આવક, સરેરાશ રાષ્ટ્રીય આવક કરતા ૫૦% વધારે છે. વિકસિત ગુજરાત @૨૦૪૭ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી, દેશના જી.ડી.પી.માં રાજયની હિસ્સેદારી ૧૦% જેટલી કરી, વર્ષ ૨૦૪૭ પહેલા રાજયની હાલની અર્થવ્યવસ્થાને ૦.૨૮ ટ્રિલિયન યુ.એસ. ડોલરથી વધારી ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલર કરવાની અમારી નેમ છે.

નાણાકીય શિસ્ત અને સુચારું વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદ્રઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે. રાજકોષિય સ્થિરતા સાથે સુદ્રઢ દેવા વ્યવસ્થાપનના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાંત બજેટ રજૂ કરતી આવી છે. નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણિય બની છે.

અમારી સરકારે ગત વર્ષે વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરેલ હતું. જેને પાયામાં રાખી વિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત @૨૦૪૭ નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું `૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

આ પણ વાંચો… My Bharat Portal: મેરા યુવા ભારત પોર્ટલ ઐતિહાસિક સિમાચિહ્ન પર પહોંચ્યુ, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો